12 June, 2026 09:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
`રામાયણ`માં રણબીર કપૂર
છેલ્લા ઘણા સમયથી ચર્ચા હતી કે રણબીર કપૂર ડિરેક્ટર અનુરાગ બાસુની કિશોર કુમારની બાયોપિકમાં મુખ્ય ભૂમિકા ભજવશે. રણબીર આ ફિલ્મ માટે ભારે ઉત્સાહી હોવા છતાં આ પ્રોજેક્ટ ક્યારેય ફ્લોર પર પહોંચી શક્યો નહોતો. આ ફિલ્મ ન બની શકવાનાં કારણો વિશે સ્પષ્ટતા કરતાં રણબીરે કહ્યું હતું કે ‘બાયોપિકને લઈને અનેક પ્રકારની મુશ્કેલીઓ આવી રહી હતી. ખાસ કરીને કિશોર કુમારના પરિવારને સ્ક્રિપ્ટ વિશે સંપૂર્ણ સંતોષ નહોતો અને કાસ્ટિંગ સંબંધિત પડકારો પણ હતા. આ કારણોસર ફિલ્મ આગળ વધી શકી નહોતી અને અંતે પ્રોજેક્ટને સ્થગિત કરવો પડ્યો હતો.’
આ ફિલ્મ અટકી જવાનાં કારણો વિશે વાત કરતા અનુરાગ બાસુએ ખુલાસો કર્યો હતો કે ‘રણબીરે ‘રામાયણ’માં ભગવાન રામની ભૂમિકા સ્વીકાર્યા પછી કિશોર કુમારની બાયોપિકમાંથી બહાર નીકળવાનો નિર્ણય લીધો હતો. રણબીર માટે ‘રામાયણ’ અને કિશોર કુમાર બાયોપિક વચ્ચે પસંદગી કરવી ખૂબ જ મુશ્કેલ હતી, પણ તેણે ‘રામાયણ’ને પ્રાથમિકતા આપી.’