19 July, 2026 09:11 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
રણબીર કપૂર
નિતેશ તિવારીએ ડિરેક્ટ કરેલી ‘રામાયણ’ના પહેલા ભાગની એક ભવ્ય પ્રિવ્યુ ઇવેન્ટ ‘રામાયણ સંકલ્પ’ ગઈ કાલે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજવામાં આવી હતી. આ ઐતિહાસિક ઇવેન્ટમાં ફિલ્મની આખી સ્ટારકાસ્ટ અને ઘણી મોટી હસ્તીઓ હાજર રહી હતી. ફિલ્મમાં ભગવાન રામનું પાત્ર ભજવી રહેલો રણબીર કપૂર આંખના ઇન્ફેક્શનને કારણે કાળાં ચશ્માં પહેરીને હાજર રહ્યો હતો જ્યારે સીતા બનેલી સાઈ પલ્લવીએ પરંપરાગત વસ્ત્રોમાં હાજરી આપી હતી. તેમના સિવાય લક્ષ્મણની ભૂમિકા ભજવતો રવિ દુબે, વિભીષણ બનેલો વિવેક ઑબેરૉય, શૂર્પણખા બનેલી રકુલ પ્રીત સિંહ અને દેવરાજ ઇન્દ્રનો રોલ કરી રહેલો કુણાલ કપૂર આ ગ્રૅન્ડ ઇવેન્ટનો હિસ્સો બન્યાં હતાં. ટીવીના પ્રખ્યાત ‘રામ’ અરુણ ગોવિલ આ ફિલ્મમાં રાજા દશરથનો રોલ કરી રહ્યા છે અને તે પણ પોતાના પરિવાર સાથે પહોંચ્યા હતા. આ ઉપરાંત ફિલ્મના નૉર્થ ઇન્ડિયાના ડિસ્ટ્રિબ્યુટર કરણ જોહરે પણ ઇવેન્ટમાં હાજરી આપી હતી. આ ફંક્શનમાં રણબીરે અને કરણ જોહરે પોતાના આઉટફિટમાં ભગવાન રામના પ્રતીક જેવા લગાવેલા બ્રૉચે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. આ ફંક્શનમાં પ્રખ્યાત સિતારવાદક ઋષભ રિખીરામ શર્માએ ભગવાન રામ પર તૈયાર કરાયેલું એક નવું વિશેષ ભજન લાઇવ પર્ફોર્મ કર્યું હતું.
ગઈ કાલે ભારત મંડપમમાં યોજાયેલા કાર્યક્રમમાં ફિલ્મની કાસ્ટ અને ક્રૂને ખાસ ઝલક બતાવવામાં આવી હતી, પણ ફિલ્મનું મુખ્ય ગ્લોબલ ટ્રેલર ૨૪ જુલાઈએ વિશ્વભરમાં એકસાથે ઇન્ટરનેટ અને સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે. ફિલ્મ ‘રામાયણ’નો પહેલો ભાગ આ વર્ષે દિવાળીના અવસરે રિલીઝ થશે.