10 November, 2019 09:35 AM IST | Mumbai
રાકેશ રોશન
રાકેશ રોશને જણાવ્યું હતું કે કૅન્સર દરમ્યાન તેમને જીભ પર થોડું કટ કરવાની સલાહ આપવામાં આવી હતી. કૅન્સર થયું છે એનું નિદાન થાય એ પહેલાં તેમને એવી ફીલિંગ હતી કે તેઓ કૅન્સરનો ભોગ બન્યા છે. આ વર્ષે તેમને કૅન્સરનું નિદાન કરવામાં આવ્યુ હતું. કૅન્સરની શરૂઆત કઈ રીતે થઈ હતી એ વિશે જણાવતાં રાકેશ રોશને કહ્યું હતું કે ‘આ બધુ એક નાનકડી ફોલ્લીથી શરૂ થયુ હતું. મારા ફૅમિલી ડૉક્ટરની સલાહ બાદ એનાં પર ઘણાં બધા ઉપાયો કરવા છતાં પણ એ ઠીક નહોતી થઈ રહી. એ એક નાનકડી હતી. એનાથી મને ના તો કોઈ દુખાવો થતો હતો કે ના તો કોઈ ખંજવાળ આવતી હતી. ખબર નહીં પણ કેમ શરૂઆતથી મને એ વાતનો અંદેશો આવી ગયો હતો કે મને કૅન્સર થયું છે.’
ટેસ્ટ કરાવ્યા બાદ રિપૉર્ટ પૉઝીટીવ આવતાં પોતાનાં અનુભવ શૅર કરતાં રાકેશ રોશને કહ્યું હતું કે ‘મને એમ કહેવામાં આવ્યુ હતું કે મારી જીભ પર કાપો કરીને નાનકડી સર્જરી કરવામાં આવશે. જોકે મેં એમ કરવાની ના પાડી દીધી હતી.’
બાદમાં તેમણે અમેરિકામાં જઈને સર્જરી કરાવી હતી. આ વિશે જણાવતાં રાકેશ રોશને કહ્યું હતું કે ‘હું ૮મી જાન્યુઆરીએ ત્યાં ગયો હતો અને ૧૨ જાન્યુઆરીએ પાછો ઑફિસમાં આવી ગયો હતો.’
આવા કપરા સમયમાં કઈ બાબતે તેમને સ્ટ્રૉન્ગ રાખ્યા હતાં. એનો જવાબ આપતાં રાકેશ રોશને કહ્યું હતું કે ‘મારી પોતાની પણ એ વખતે ઘણી મુશ્કેલીઓ હતી. ખરુ કહું તો મારી ફૅમિલીમાં દરેક વ્યક્તિ હૅલ્થ ઈશ્યુમાંથી પસાર થઈ છે. એ દરમ્યાન મારી વાઇફની તબિયત પણ સારી નહોતી રહેતી. મારા સસરા પણ અસ્વસ્થ હતાં. સુનૈના પણ કૅન્સરમાં સપડાઈ હતી. હૃતિકની પણ બ્રેઇન સર્જરી કરવામાં આવી હતી.’
આ પણ જુઓઃ સંગીતમય રહી છે Priya Saraiyaના જીવનની સફર, મહેનતથી બનાવી છે પોતાની ખાસ ઓળખ...
આટલુ જ નહીં રાકેશ રોશનને બ્લૉકેજીસ પણ હતાં. આ વાતની જાણ થતાં હૃતિકનું શું રિએક્શન હતું એવુ પૂછવામાં આવતા રાકેશ રોશને કહ્યું હતું કે ‘મેં જે રીતે કહ્યું એમ આ બધી વસ્તુ અમારા માટે નવી નહોતી. એથી અમે એ બાબતની પરસ્પર ચર્ચા કરીને, સાથે મળીને એનો સામનો કર્યો હતો. અમે કદી પણ ડિપ્રેશનમાં નહોતા ગયા. જીવનને પૂરા આનંદ સાથે જીવો. કૅન્સરને તો માત્ર મોટું નામ આપવામાં આવ્યુ છે. મેં હવે કામ શરૂ કરી દીધુ છે. જોકે હું સ્ક્રિપ્ટ પર કામ નથી કરી રહ્યો. હું ફરીથી એને વાંચીશ. નાના-મોટા બદલાવ કરીશ. ‘ક્રિશ 4’ને હું ડિરેક્ટ કરીશ.’