રાજપાલ યાદવે તિહાડ જેલમાંથી બહાર આવીને સમર્થન અને પ્રાર્થના બદલ આભાર માન્યો

18 February, 2026 01:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજપાલ યાદવ જેલમાંથી બહાર આવ્યા પછી પહેલી વખત મીડિયા સામે આવ્યો અને દેશભરના લોકોને તેના માટે કરેલાં સમર્થન અને પ્રાર્થનાઓ બદલ આભાર વ્યક્ત કર્યો.

રાજપાલ યાદવ

ચેક બાઉન્સ અને ૯ કરોડ રૂપિયાના લોન કેસમાં ૧૩ દિવસ જેલમાં વિતાવ્યા બાદ ઍક્ટર રાજપાલ યાદવ તિહાડ જેલમાંથી બહાર આવી ગયો છે. રાજપાલ યાદવ જેલમાંથી બહાર આવ્યા પછી પહેલી વખત મીડિયા સામે આવ્યો અને દેશભરના લોકોને તેના માટે કરેલાં સમર્થન અને પ્રાર્થનાઓ બદલ આભાર વ્યક્ત કર્યો.

ચેક બાઉન્સ કેસમાં હાઈ કોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા બાદ રાજપાલ યાદવે જણાવ્યું કે ‘મુંબઈમાં બૉલીવુડમાં મારાં ૩૦ વર્ષ પૂરાં થવા જઈ રહ્યાં છે. દેશ અને દુનિયાના દરેક બાળકથી લઈને મોટા લોકો સુધી સૌએ મને સાથ આપ્યો, તેથી જ હું ૨૫૦ ફિલ્મો કરી શક્યો. આખું બૉલીવુડ મારી સાથે છે. આ ઘટના ૨૦૧૨-’૧૩ની છે અને ત્યાર બાદ મેં ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. ભારતીય સિનેમાના દરેક વયના લોકો મારી સાથે રહ્યા છે અને આજે પણ છે. જો મારી વિરુદ્ધ કોઈ આરોપ છે તો હું એનો જવાબ આપવા તૈયાર છું.’

વાતચીત દરમ્યાન રાજપાલે કોર્ટનો આભાર માનીને કહ્યું કે ‘હું કોર્ટના દરેક આદેશનો સન્માન કરું છું અને વર્ષોથી એનું પાલન કરતો આવ્યો છું. મારો ઇરાદો શું હતો એ સમજાવવા હું હંમેશાં તૈયાર રહ્યો છું. જ્યાં-જ્યાં કોર્ટે હાજર રહેવા કહ્યું, ત્યાં હું હાજર રહ્યો છું અને આગળ પણ રહીશ. લોકો સોશ્યલ મીડિયા પર પણ મને સપોર્ટ કરી રહ્યા છે. પાંચથી લઈને પંચાવન વર્ષની ઉંમરની દરેક વ્યક્તિએ મને સાથ આપ્યો છે. મને દેશ, દુનિયા અને બૉલીવુડ પાસેથી ઘણો પ્રેમ મળ્યો છે. જો કોઈ આરોપ છે તો હું દરેક જગ્યાએ જવાબ આપવા માટે તૈયાર છું. હાઈ કોર્ટનો આભાર કે તેમણે મને બોલવાનો મોકો આપ્યો.’

rajpal yadav entertainment news bollywood buzz bollywood news bollywood gossips bollywood tihar jail