02 May, 2025 10:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રજનીકાન્ત
રજનીકાન્તે પણ WAVES 2025માં હાજરી આપી હતી. આ સમિટમાં પોતાના વક્તવ્યમાં રજનીકાન્તે બાવીસમી એપ્રિલે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા વિશે વાત કરી હતી. આ હુમલાની વાત કરતી વખતે રજનીકાન્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જમ્મુ-કાશ્મીરમાં શાંતિ લાવવા માટેના પ્રયાસોને બિરદાવ્યા હતા અને તેમના દ્વારા લેવામાં આવેલી ઍક્શન વિશે વાત કરી હતી. રજનીકાન્તે નરેન્દ્ર મોદીને યોદ્ધા કહ્યા હતા અને જણાવ્યું હતું કે મને ભરોસો છે કે વડા પ્રધાન વર્તમાન પરિસ્થિતિને બહુ સારી રીતે સંભાળી લેશે.
પોતાના વક્તવ્યમાં રજનીકાન્તે કહ્યું હતું, ‘નમસ્કાર, માનનીય વડા પ્રધાન અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન. પહલગામમાં બનેલી બર્બર અને નિર્દયી ઘટના પછી ઘણા લોકોએ મને કહ્યું કે સરકાર અકારણ ટીકાથી બચવા માટે આ કાર્યક્રમ સ્થગિત કરી દેશે, કારણ કે આ કાર્યક્રમનો વિષય મનોરંજન છે. જોકે મને સંપૂર્ણ ભરોસો હતો કે આ કાર્યક્રમ થશે. મને મારા નરેન્દ્ર મોદીજી પર પૂરો ભરોસો છે. તેઓ યોદ્ધા છે. તેઓ કોઈ પણ પડકારનો સામનો કરશે. તેઓ આ પરિસ્થિતિનો પણ શાલીનતા અને બહાદુરીપૂર્વક સામનો કરશે અને કાશ્મીરમાં શાંતિ સ્થાપીને દેશને ગૌરવ અપાવશે.’
રજનીકાન્તે તેમને આ સમિટનો ભાગ બનાવવા બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘હું અહીં આવીને બહુ ખુશ છું. આ WAVES-મોમેન્ટનો હિસ્સો બનવાની તક મળી એને હું મારું સૌભાગ્ય ગણું છું. વૈશ્વિક મનોરંજનની દિશામાં એક ડગલું આગળ ભરવા માટે કેન્દ્ર સરકાર અને મીડિયાને મારાં હાર્દિક અભિનંદન. હું તમારા બધાની સફળતાની કામના કરું છું. ખૂબ-ખૂબ ધન્યવાદ.’