10 June, 2025 07:01 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પાર્થો ઘોષ
Partho Ghosh No More: બૉલીવુડનાં ખૂબ જ જાણીતા ડિરેક્ટર પાર્થો ઘોષનું આજે મુંબઈમાં જ નિધન થયું છે. છેલ્લા ઘણા સમયથી હ્રદયની બીમારીથી પીડિત આ ડિરેક્ટરે ૭૫ વર્ષની વયે વિદાય લીધી છે.
તમને જણાવી દઈએ કે પાર્થો ઘોષે (Partho Ghosh No More) વર્ષ 1990 અને 2000ના દાયકામાં પ્રેક્ષકોને રોમાંચક, ભાવનાત્મક અને સામાજિક કથાઓ આધારીત ફિલ્મોની ભેટ આપી હતી. એમની દરેક ફિલ્મો હિટ રહી. `100 ડેઝ તેમ જ `અગ્નિ સાક્ષી" જેવી ફિલ્મોના નિર્દેશન માટે તેઓનું નામ જાણીતું થયું છે.
પાર્થો ઘોષ (Partho Ghosh No More)ના જીવન-કવનની વાત કરીએ તો 8 જૂન 1949ના રોજ પશ્ચિમ બંગાળના કોલકાતામાં તેઓ જન્મ્યા હતા. નાનપણથી જ સાહિત્ય, કલા અને સંગીતમાં તેમણે અપાર રુચિ હતી. પરંતુ તેમનો સૌથી વધારે રસ હતો- સિનેમા. માટે જ તેઓએ ફિલ્મ ઉદ્યોગમાં ઝપલાવ્યું હતું. અને તેઓ સફળ પણ રહ્યા હતા. 1985માં તેમણે સહાયક નિર્દેશક તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત બંગાળી ફિલ્મથી કરી હતી અને પછી કેટલીક હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. ઉત્તમ ફિલ્મ નિર્દેશન માટે પાર્થોજીને અનેક સન્માનો મળ્યા. તેમણે ખરી ઓળખ મળી વર્ષ 1991ની સુપરહિટ ફિલ્મ 100 ડેઝથી. આ રહસ્યમય-રોમાંચક ફિલ્મને પ્રેક્ષકોએ ખૂબ જ વખાણી હતી. 1996માં તેઓએ નાના પાટેકર, જેકી શ્રોફ અને મનીષા કોઈરાલા અભિનીત મનોવૈજ્ઞાનિક નાટક `અગ્નિ સાક્ષી` કરી. `અગ્નિ સાક્ષી`ને ફિલ્મફેર એવોર્ડ્સમાં શ્રેષ્ઠ નિર્દેશક માટે નામાંકિત કરવામાં આવેલ. વર્ષ 1993માં દલાલ ફિલ્મ કરી. જેમાં મિથુન ચક્રવર્તીનું યાદગાર પાત્ર લોકોએ વખાણ્યું હતું. `તીસરા કૌન` ફિલ્મ થકી તો તેઓએ એ સાબિત કરી આપ્યું કે તેઓ રિમેકને પણ નવા જ રૂપ સાથે પીરસી જાણે છે.
Partho Ghosh No More: દિવ્યા ભારતી અને અવિનાશ વઢવાણ અભિનીત `ગીત`નું નિર્દેશન પણ કર્યું હતું. તેઓએ સસ્પેન્સ, રોમાન્સ અને ડ્રામા સહિત વિવિધ શૈલીની 15થી વધુ ફિલ્મોનું ડિરેક્શન કર્યું હતું. લાંબા વિરામ બાદ તેઓએ વર્ષ 2018ની રોમેન્ટિક ડ્રામા `મૌસમ ઇકરાર કે દો પલ પ્યાર કે`નું નિર્દેશન કર્યું હતું, જેમાં મુકેશ જે. ભારતી, મદાલસા શર્મા અને અવિનાશ વઢવાણ હતા.
એક્ટ્રેસ ઋતુપર્ણા સેનગુપ્તાએ પાર્થો ઘોષને યાદ કરીને લખ્યું, "હૃદય ખૂબ જ દુઃખી છે, શું કહેવું તે સમજી શકતું નથી. આપણે એક અદ્ભુત અભિનેતા, એક અદ્ભુત નિર્દેશક અને એક ખૂબ જ સારા માણસ (Partho Ghosh No More) ગુમાવ્યા છે. પાર્થો દા, તમે સ્ક્રીન પર જે જાદુ બનાવ્યો છે તે હંમેશા યાદ રહેશે.”
મુકેશ જે ભારતીએ લખ્યું કે, “હું મારી લાગણીઓને શબ્દોમાં વ્યક્ત કરી શકતો નથી. કારણ કે આજે જીવનનો ખૂબ જ દુઃખદ દિવસ છે, પ્રિય પાર્થો ઘોષ દાદાને ગુમાવ્યા છે. અમે તમને ખૂબ જ યાદ કરીશું દાદા! ! તેમના આત્માને શાંતિ મળે! ઓમ શાંતિ”