24 July, 2025 07:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પરેશ રાવલ
થોડા સમય પહેલાં પરેશ રાવલે કહ્યું હતું કે એક તબક્કે જ્યારે તેમને પગના ઘૂંટણમાં ઇન્જરી થઈ હતી ત્યારે તેમણે ફાઇટમાસ્ટર વીરુ દેવગનની સલાહ માનીને સારવારના ભાગરૂપે પોતાનું યુરિન પીધું હતું. પરેશ રાવલના આ ખુલાસાથી ઘણા લોકોને આશ્ચર્ય થયું હતું અને સોશ્યલ મીડિયા પર ઘણા યુઝર્સે પરેશ રાવલની મજાક ઉડાડી હતી અને તેમને ટ્રોલ કર્યા હતા.
હવે આ આખા વિવાદ પર પરેશ રાવલે પ્રતિક્રિયા આપી છે. તેમણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે ‘મેં તે લોકોને તો યુરિન નથી આપ્યુંને? કે પછી શું તેમને એ વાતની સમસ્યા છે કે મેં તેમને નથી આપ્યું? શું તેમને લાગે છે કે યાર, આ એકલો પી ગયો અને અમને નથી આપ્યું? આ મારા જીવનની એક ઘટના છે જે ૪૦ વર્ષ પહેલાં બની હતી. આ ઘટના હું બોલી ગયો એમાં શું થઈ ગયું? લોકોને રાઈનો પહાડ બનાવવામાં મજા આવે છે. તો તેમને મજા કરવા દો.’
પરેશ રાવલે આ ઇન્ટરવ્યુમાં દાવો કર્યો કે તેમના યુરિનનું સેવન કરવાના ખુલાસા બાદ ઘણા લોકોએ તેમનો સંપર્ક કર્યો હતો, પરંતુ હવે તેઓ આ વિશે વધુ વાત કરવા નથી માગતા.