07 April, 2026 11:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પરેશ રાવલ
‘ધુરંધર : ધ રિવેન્જ’ની ચર્ચા ચારે તરફ છવાઈ ગઈ છે. આ ફિલ્મને ઇન્ડસ્ટ્રી તરફથી પણ ખૂબ પ્રશંસા મળી રહી છે. તાજેતરમાં પરેશ રાવલે પણ ફિલ્મની બહુ પ્રશંસા કરી છે. પોતાની વાતચીતમાં પરેશ રાવલે કહ્યું, ‘હું ‘ધુરંધર’થી ખૂબ પ્રભાવિત થયો છું. મને આ ફિલ્મ બહુ જ ગમી છે. હજી સુધી આ ફિલ્મનો નશો મારા માથેથી ઊતર્યો નથી. હું પહેલી ‘ધુરંધર’ ફિલ્મ બે વખત જોઈ ચૂક્યો છું અને ‘ધુરંધર : ધ રિવેન્જ’ પણ બે વખત જોઈ છે. મન થાય છે કે ફરી એક વખત જઈને જોઈ લઉં. પહેલી ફિલ્મ તો મજેદાર હતી જ, પરંતુ એની સીક્વલમાં એટલી બધી માહિતી છે કે દર્શકોને ઘણો આનંદ આવશે. ફિલ્મ જોયા પછી સમજાશે કે એમાં શું-શું સંકેતો આપવામાં આવ્યા છે.’
‘ધુરંધર’ સિરીઝમાં આર. માધવનના પાત્ર અજય સાન્યાલ વિશે પરેશ રાવલે કહ્યું, ‘જ્યારે મેં જોયું કે ફિલ્મમાં માધવને અજિત ડોભાલથી પ્રેરિત પાત્ર ભજવ્યું છે ત્યારે મને ખૂબ ખુશી થઈ. તેઓ સારા કલાકાર છે અને અજિત ડોભાલ આપણા દેશના હીરો છે. તેમણે જે કામ કર્યું છે એ કમાલનું છે. આવા લોકો પર ફિલ્મ બને ત્યારે ખરેખર સારું લાગે છે.’‘ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઇક’
ફિલ્મમાં પરેશ રાવલે પણ અજિત ડોભાલથી પ્રેરિત પાત્ર ભજવ્યું હતું.