04 January, 2021 06:48 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાજ કપૂર અને દિલીપકુમારનાં પાકિસ્તાનમાં આવેલાં પૂર્વજોનાં મકાનને ત્યાંની સરકારે ખરીદીને એને નૅશનલ હેરિટેજ જાહેર કર્યાં છે. આ મકાનોને કુલ ૨.૩૫ કરોડમાં ખરીદવામાં આવ્યાં છે. દિલીપકુમારનું મકાન ૧૦૧ સ્ક્વેર મીટરમાં ફેલાયેલું છે, જેને ૮૦.૫૬ લાખમાં ખરીદવામાં આવ્યું છે તો ૧૫૧.૭૫ સ્ક્વેર મીટરમાં પથરાયેલો રાજ કપૂરનો બંગલો ૧.૫૦ કરોડમાં ખરીદી લીધો છે. આ બન્ને મકાનોને મ્યુઝિયમમાં ફેરવવામાં આવશે. ભારત-પાકિસ્તાનના ભાગલા થયા એ પહેલાં આ બન્ને મહાન કલાકારોનો અહીં જન્મ થયો હતો. સાથે જ શરૂઆતના દિવસોમાં તેઓ અહીં રહ્યા હતા. રાજ કપૂરની હવેલીને કપૂર હવેલી તરીકે ઓળખવામાં આવે છે, જેને ૧૯૧૮થી ૧૯૨૨ દરમ્યાન બનાવવામાં આવી હતી. એ જ વિસ્તારમાં દિલીપકુમારનું ઘર પણ સ્થિત છે. પૂરાતત્ત્વ વિભાગની ઇચ્છા છે કે આ મકાનોને જાળવીને એને ઐતિહાસિક મહત્ત્વ આપવામાં આવે.