31 October, 2020 03:00 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કંગના રનોટ (ફાઈલ તસવીર)
લોખંડી પુરુષના નામે ઓળખાતા સરદાર વલ્લભભાઈ પટેલ (Sardar Vallabhbhai Patel)ની આજે 145મી જયંતિ પર બૉલીવુડ અભિનેત્રી કંગના રનોટ (Kangana Ranaut)એ તેમને શ્રદ્ધાંજલિ આપી છે. આ સાથે જ અભિનેત્રીએ મહાત્મા ગાંધીજી (Mahatma Gandhi) અને પંડિત જવાહરલાલ નેહરુ (Pandit Jawaharlal Nehru) પર નિશાન સાધ્યું છે. કંગનાએ સરદાર પટેલના બલિદાન માટે ગાંધીજીને જવાબદાર ગણાવ્યા છે. સાથે જ પટેલે સ્વતંત્ર ભારતના પહેલા વડાપ્રધાન પદનું બલિદાન આપ્યું તે માટે અભિનેત્રીએ દુઃખ જતાવ્યું છે.
કંગના રનોટે પહેલા ટ્વીટમાં લખ્યું છે, 'તેમણે ગાંધીજીની ખુશી માટે ભારતના પહેલા વડાપ્રધાનના રૂપમાં સૌથી યોગ્ય અને નિર્વાચિત પદ નકારી દીધું, કારણકે તેમને (ગાંધીજી) લાગતું હતું કે નેહરુ સારું અંગ્રેજી બોલે છે. સરદાર વલ્લભભાઈ પટેલને નુકસાન ન થયું પણ દેશે દાયકાઓ સુધી આનું પરિણામ ભોગવ્યું. આપણા માટે જે યોગ્ય છે તેને આપણે કોઈ શરમવગર છીનવી લેવું જોઈએ.'
બીજા ટ્વીટમાં અભિનેત્રીએ સરદારને ભારતના અસલી લોહપુરુષ ગણાવીને લખ્યું, 'મારું માનવું છે કે ગાંધીજી નેહરુની જેમ એક નબળા મગજના વ્યક્તિ ઇચ્છતા હતા જેથી તે ખુદ સામે રહીને દેશને કંટ્રોલ કરી શકે અને તેને ચલાવી શકે. પ્લાન સારો હતો પરંતુ ગાંધીજીની હત્યા બાદ જે થયું, તે ડિઝાસ્ટર હતું.'
વધુ એક ટ્વીટમાં કંગના રનોટે લખ્યું હતું કે, 'ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ. તમે એ વ્યક્તિ છો જેમણે અમને આ અખંડ ભારત આપ્યું. પરંતુ વડાપ્રધાન પદનું બલિદાન આપીને તમે અમને તમારા મહાન નેતૃત્ત્વ અને વિઝનથી દૂર લઇ ગયા. અમને તમારા નિર્ણયનો ઘણો અફસોસ છે.'
આમ અભિનેત્રીએ એક મહાપુરષને શ્રદ્ધાંજલી આપવાની સાથે અન્ય બે માહાપુરુષો પર નિશાન સાધ્યું હતું.