18 February, 2026 12:06 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રશ્મિકા મંદાના અને અભિનેતા વિજય દેવરકોંડા
રશ્મિકા મંદાના અને અભિનેતા વિજય દેવરકોંડાનાં લગ્ન વિશે ચર્ચાઓ ચાલી રહી છે. રિપોર્ટ મુજબ બન્ને ૨૬ ફેબ્રુઆરીએ ઉદયપુરમાં પરિવાર અને ખૂબ નજીકના મિત્રો વચ્ચે સાત ફેરા લેશે. મળતી માહિતી પ્રમાણે આ લગ્ન ખૂબ જ પ્રાઇવેટ રાખવામાં આવશે. મહેમાનોને ફોટો કે વિડિયો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરવાની મનાઈ રહેશે અને વેડિંગ વેન્યુ પર ‘નો-ફોન પૉલિસી’ લાગુ કરવામાં આવશે. આ લગ્નની ઉજવણી ૨૪ ફેબ્રુઆરીથી શરૂ થશે અને ૨૬ ફેબ્રુઆરીએ લગ્નવિધિ સાથે પૂર્ણ થશે.
રશ્મિકા અને વિજયનાં લગ્નમાં ગેસ્ટ-લિસ્ટ ખૂબ નાનું રાખવામાં આવ્યું છે, જેમાં માત્ર પરિવારજનો અને અત્યંત નજીકના મિત્રો જ સામેલ રહેશ તેમ જ લગ્નની ફોટોગ્રાફી કરનાર ટીમ પાસે પણ નૉન-ડિસ્ક્લોઝર ઍગ્રીમેન્ટ પર સહી કરાવવામાં આવી છે. આ લગ્ન વિશેની સૌથી ચર્ચિત વાત એ છે કે કોઈ પણ અભિનેતા અથવા ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સહકર્મીઓને આમંત્રિત કરવામાં આવ્યા નથી. કપલે વિચારપૂર્વક આ નિર્ણય લીધો હોવાનું કહેવાય છે જેથી સમારોહ સંપૂર્ણ રીતે ખાનગી અને પારિવારિક રહે.
લગ્ન પહેલાં બે પ્રી-વેડિંગ વિધિઓ યોજાશે. એક રશ્મિકાના પરિવાર તરફથી અને બીજી વિજયના પરિવાર તરફથી યોજવામાં આવશે. લગ્નમાં ભવ્યતા કરતાં પરંપરાગત રીતિરિવાજોને મહત્ત્વ આપવામાં આવશે. કપલે હાથથી લખેલી નોટ દ્વારા મહેમાનોને માત્ર આશીર્વાદ આપવા વિનંતી કરી છે અને કોઈ પણ પ્રકારની ભેટ ન લાવવાની વિનંતી પણ કરી છે.
હાલમાં રશ્મિકા અને વિજય બન્ને અનેક કમિટમેન્ટમાં વ્યસ્ત છે. તેઓ લગ્ન પહેલાં પોતાનાં બાકી રહેલાં કામ પૂર્ણ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. ચર્ચા છે કે લગ્ન બાદ બન્ને લગભગ એક મહિના માટે કામમાંથી બ્રેક લેશે. વાઇરલ આમંત્રણ કાર્ડ મુજબ ઉદયપુરમાં લગ્ન બાદ ૪ માર્ચે હૈદરાબાદમાં મિત્રો અને ઇન્ડસ્ટ્રીના લોકો માટે ભવ્ય રિસેપ્શન યોજાશે.