જ્યારે ઊંઘ ન આવે ત્યારે સંગીત સાંભળો

13 May, 2026 10:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમિતાભ બચ્ચને પોતાના બ્લૉગમાં લખ્યું કે તેઓ ઊંઘની કમી અને કામના વધતા જતા ભારના સ્ટ્રેસને મ્યુઝિક-થેરપીની મદદથી દૂર કરે છે

અમિતાભ બચ્ચન સ્ટ્રેસને મ્યુઝિક-થેરપીની મદદથી દૂર કરે છે

અમિતાભ બચ્ચન હવે ૮૩ વર્ષના થઈ ચૂક્યા છે અને આ ઉંમરે પણ તેઓ ખૂબ ઍક્ટિવ રહે છે. ફિલ્મો ઉપરાંત તેઓ પોતાના ક્વિઝ રિયલિટી શો ‘કૌન બનેગા કરોડપતિ’નું શૂટિંગ પણ કરે છે, પરિવારના કાર્યક્રમોમાં હાજરી આપે છે અને સોશ્યલ મીડિયા દ્વારા સતત પોતાના ચાહકો સાથે જોડાયેલા રહે છે.

અમિતાભ ઘણી વાર સોશ્યલ મીડિયા મારફત પોતાના મનની વાત ચાહકો સાથે શૅર કરતા રહે છે. તાજેતરમાં અમિતાભે પોતાના નવા બ્લૉગમાં જણાવ્યું હતું કે તેઓ ઊંઘની કમી અને કામના વધતા જતા સ્ટ્રેસને મ્યુઝિક-થેરપીની મદદથી દૂર કરે છે. તેમણે લખ્યું છે...

ડૉક્ટરની સલાહ મુજબ શરીરને સ્વસ્થ રહેવા માટે ઓછામાં ઓછા ૭ કલાક આરામની જરૂર હોય છે છતાં કામ ઘણી વાર ઊંઘ કરતાં વધુ મહત્ત્વનું બની જાય છે.

‘આ દિવસોમાં સવારે ઊંઘની કોઈ પ્રક્રિયા શરૂ થતી નથી... કેમ? કારણ કે કામ હવે ઊંઘ કરતાં વધુ મહત્ત્વનું બની ગયું છે. જોકે ડૉક્ટરો કહે છે કે આ યોગ્ય નથી. શરીરને ઓછામાં ઓછા ૭ કલાકની ઊંઘ જરૂરી છે. જ્યારે શરીર ઊંઘમાં હોય છે ત્યારે એ પોતાનો વિકાસ કરે છે અને પોતાનું સમારકામ પણ કરે છે. તો પછી શું કરવું? કામ કરતી વખતે હું બ્લૉગમાં જ વ્યસ્ત રહું છું, પરંતુ મધરાતની શાંતિમાં સ્લાઇડ ગિટાર અને સિતાર પર વાગતું સંગીત, ખાસ કરીને ભાવસભર શાસ્ત્રીય સંગીત એક અલગ જ શાંતિ આપે છે. આત્મા માટે આનાથી સારો કોઈ ઉપચાર નથી.

સંગીત મને બેચેન રાતોમાં શાંતિ આપે છે અને ઊંઘવામાં પણ મદદ કરે છે. સંગીત માત્ર મનોરંજન માટે નથી હોતું, ભગવાન સાથે જોડાવાનું માધ્યમ પણ છે. દુનિયાના કોઈ પણ ખૂણાનું સંગીત હોય, એ ૭ સૂર પર જ આધારિત છે અને આ ૭ સૂર માનવતાની ઓળખ છે. જો તમે એનું સન્માન કરશો તો એ તમારું સન્માન કરશે. જ્યારે ઊંઘ ન આવે ત્યારે સંગીત સાંભળો. ધીમે-ધીમે એ તમને શાંતિ આપશે અને ઊંઘ પણ આવી જશે.

amitabh bachchan social media entertainment news bollywood bollywood news bollywood gossips