ગેનું પાત્ર ભજવવા ઇન્ડસ્ટ્રીના લોકોએ મને વિચારવાની સલાહ આપી : આયુષ્માન

28 January, 2020 12:07 PM IST  |  Mumbai | Harsh Desai

ગેનું પાત્ર ભજવવા ઇન્ડસ્ટ્રીના લોકોએ મને વિચારવાની સલાહ આપી : આયુષ્માન

આયુષ્માન ખુરાના

આયુષ્માન ખુરાનાનું કહેવું છે કે બૉલીવુડના ઘણાં લોકોએ આ ફિલ્મને કરવા વિશે ફરી સો વાર વિચારવા માટે કહ્યું હતું. તેની આગામી ફિલ્મ ‘શુભ મંગલ ઝ્યાદા સાવધાન’માં તે સજાતિય સંબંધ ધરાવતો જોવા મળશે. આ ફિલ્મ દ્વારા તે હોમોસેક્સ્યુઅલ વિશે સોસાયટીમાં જાગરૂક્તા ફેલાવી રહ્યો છે. આ વિશે લોકો વાત કરવાનું પણ ટાળે છે ત્યારે આયુષ્માન એના પર ફિલ્મ કરી રહ્યો છે. આ ફિલ્મને તે પાછો તેની સંપૂર્ણ ફૅમિલી સાથે થિયેટરમાં જોવા જવાનો છે. આયુષ્માને અત્યાર સુધીમાં સતત સાત હિટ ફિલ્મ આપી છે અને એવું લાગી રહ્યું છે કે તે આઠમી ફિલ્મ પણ આપવા જઈ રહ્યો છે કારણ કે તેની ફિલ્મના ટ્રેલરને ખૂબ જ સારો રિસપોન્સ મળી રહ્યો છે.

આયુષ્માન માટે તેની ફૅમિલી હંમેશાં સપોર્ટીવ રહ્યું છે. તેના દરેક નિર્ણયમાં તેના પરિવારે તેને સાથ આપ્યો છે અને આ ફિલ્મ તેના કરીઅરમાં સૌથી મહત્ત્વની હોવાથી તેણે ફૅમિલી સાથે એને સેલિબ્રેટ કરવાનો નિર્ણય લીધો છે. આ વિશે આયુષ્માને કહ્યું હતું કે ‘આજે હું જે કંઈ પણ છું એ મારી ફૅમિલીને કારણે છે. તેઓ હંમેશાંથી મારા માટે સૌથી મોટી સપોર્ટ સિસ્ટમ રહ્યાં છે અને મારી લાઇફમાં તેમણે હંમેશાં નિર્ણય લેવામાં મને મદદ કરી છે. મેં જ્યારે બૉલીવુડમાં કરીઅર બનાવવાનો નિર્ણય લીધો હતો ત્યારે પણ તેઓ મારી પળખે ઊભા હતા. મેં જ્યારે નક્કી કર્યું કે મારી ફિલ્મમો ટેબૂ વિષય પર વાતો કરશે જેવી કે ‘વિકી ડૉનર’, ‘શુભ મંગલ સાવધાન’ અને ‘બાલા’ બાદ ‘શુભ મંગલ ઝ્યાદા સાવધાન’ ત્યારે મારા ફૅમિલીએ મને સંપૂર્ણ સપોર્ટ કર્યો હતો. સોસાયટી શું વિચારશે એ વિશે તેમણે નહોતું વિચાર્યું.’

બૉલીવુડની ઘણી વ્યક્તિ દ્વારા તેને આ ફિલ્મ વિશે ફરી વિચારવાની સલાહ આપવામાં આવી હતી. આ વિશે આયુષ્માને કહ્યું હતું કે ‘મારી ફૅમિલીએ મારામાં વિશ્વાસ રાખ્યો અને મારા સપનાના કારણે આજે હું જ્યાં છું ત્યાં સુધી પહોંચ્યો છું. આ માટે હું મારા ફૅમિલીનો જેટલો આભાર માનું એટલો ઓછો છે. ‘શુભ મંગલ ઝ્યાદા સાવધાન’ને પસંદ કરવી મારા કરીઅરનો સૌથી મહત્ત્વનો નિર્ણય છે. સ્ક્રીન પર અત્યાર સુધી બૉલીવુડના કોઈ પણ લીડ હીરોએ ગેનું પાત્ર ન ભજવ્યું હોવાથી ઇન્ડસ્ટ્રીના ઘણાં લોકોએ મને આ ફિલ્મને લઈને ફરી સો વાર વિચારવા કહ્યું હતું. જોકે મને લાગ્યું કે આ ઘારણાને તોડવી જોઈએ અને બદલાવનો સમય આવી ગયો છે.’

આ પણ વાંચો : Happy Birthday Shruti Hassan: રાતો-રાત ચર્ચાનો વિષય બની ગઈ હતી આ એક્ટ્રેસ

આયુષ્માન આ ફિલ્મને તેના સંપૂર્ણ પરીવાર સાથે જોવા માગે છે. આ વિશે જણાવતાં આયુષ્માને કહ્યું હતું કે ‘મને લાગે છે કે દેશમાં જાગરૂક્તા ફેલાવવા અને ટેબૂ વિષય પર ચર્ચા કરવા હું સક્ષમ છું અને એથી જ હું LGBTQ કમ્યુનિટી વિશે પણ મનોરંજક રીતે ચર્ચા કરી રહ્યો છું. અમે પહેલેથી ચોક્કસ હતાં કે અમારે આ ફૅમિલી એન્ટરટેઇનર ફિલ્મ બનાવવી છે અને મને ખુશી છે કે અમે જે રીતે ફિલ્મ બનાવવા ઇચ્છતા હતા એ બનાવીને રહ્યાં છીએ. મારી ફૅમિલીએ મને સપોર્ટ કર્યો છે અને એથી જ હું ઇચ્છુ છું કે તેઓ બધા આ ફિલ્મ જુએ. ઇન્ડિયન સિનેમામાં આ ક્ષણ મારા માટે ખૂબ જ મહત્ત્વની છે અને હું એને મારી ફૅમિલી સાથે યાદગાર બનાવવા માગું છું.’

ayushmann khurrana bollywood news