17 June, 2020 07:15 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મહેન્દ્ર સિંહ ધોની અને સુશાંત સિંહ રાજપુત (ફાઈલ તસવીર)
34 વર્ષીય બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપુતે 14 જૂને રવિવારે બાંદ્રા સ્થિત ઘરમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. અભિનેતાની આત્મહત્યાથી સહુ કોઈ શૉકમાં છે અને ભારતીય ક્રિકેટ ટીમના ભુતપુર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની પણ તેમાંથી બાકાત નથી. સુશાંત સિંહ રાજપુતનું મહેન્દ્ર સિંહ ધોની સાથે ખાસ કનેક્શન છે. ધોનીની બાયોપિક 'એમ.એસ.ધોની ધ અનટોલ્ડ સ્ટોરી'માં સુશાંતે ધોનીનો રોલ ભજવ્યો હતો. ફિલ્મના નિર્દેશક નીરજ પાંડેએ જણાવ્યું હતું કે, સુશાંત સિંહ રાજપુતની આત્મહત્યાના સમાચાર પર એમએસ ધોનીને વિશ્વાસ જ નહોતો થયો.
ગત રવિવારે બપોરે જ્યારે સુશાંત સિંહ રાજપુતની આત્મહત્યાના સમાચાર આવ્યા ત્યારે 'એમ.એસ.ધોની ધ અનટોલ્ડ સ્ટોરી'ના ડાયરેક્ટર નિરજ પાંડેએ સહુથી પહેલા ભારતી ક્રિકેટ ટીમના ભુતપુર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીને ફોન કર્યો હતો. એક અખબારને આપેલા ઈન્ટવ્યુમાં નિરજ પાંડેએ કહ્યું હતું કે, આ સમાચાર સાંભળીને ધોની સ્તબ્ધ થઈ ગયો હતો અને પહેલા તો તેને સમાચાર પર વિશ્વાસ જ નહોતો થયો. તેમણે વધુમાં કહ્યું હતું કે, માહી ભાઈને ફોન કરવા સિવાય મેં તેના ખાસ બે મિત્રો મિહિર દિવાકર અને અરુણ પાંડેને પણ ફોન કર્યો હતો. તે બધાને આ સમાચાર સાંભળીને આઘાત લાગ્યો હતો. માહી ભાઈ તો આ ખબર સાંભળી સાવ તૂટી જ ગયો હતો.
'એમ.એસ.ધોની ધ અનટોલ્ડ સ્ટોરી' સુશાંતની કારકિર્દીની શ્રેષ્ઠ ફિલ્મ હતી. આ ફિલ્મ માટે સુશાંતની ઘણી પ્રશંસા થઈ હતી. સુશાંતસિંહ રાજપૂતે ધોનીના રોલ માટે વિકેટકિપિંગ શીખવા માટે ઘણી મહેનત કરી હતી. તેને પૂર્વ ભારતીય વિકેટકીપર કિરણ મોરેએ ટ્રેનિંગ આપી હતી. તેણે મેદાન પર વિકેટકિપિંગ શીખવા માટે મોરે પાસેથી દસ મહિનાની ટ્રેનિંગ લીધી હતી.
જોકે, ધોનીએ સુશાંતના નિધન પર અત્યાર સુધી કોઈ નિવેદન આપ્યું નથી.