14 August, 2025 07:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મૃણાલ ઠાકુર
છેલ્લા કેટલાક દિવસોથી સાઉથના સુપરસ્ટાર ધનુષ અને ઍક્ટ્રેસ મૃણાલ ઠાકુર વચ્ચેના અફેરની ચર્ચા ચાલી રહી છે. ધનુષ તાજેતરમાં રિલીઝ થયેલી મૃણાલની ફિલ્મ ‘સન ઑફ સરદાર 2’ના સ્ક્રીનિંગમાં પણ જોવા મળ્યો હતો. જોકે હવે મૃણાલે એક ઇન્ટરવ્યુમાં ધનુષ સાથેની તેની રિલેશનશિપ વિશે સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે ‘ધનુષ ફક્ત સારો મિત્ર છે. હું જાણું છું કે અમારા સાથે હોવા અંગે અનેક પ્રકારની અફવાઓ ફેલાઈ રહી છે. મેં જ્યારે આ સમાચાર વાંચ્યા ત્યારે મને તો બહુ હસવું આવ્યું હતું.’
ધનુષે ‘સન ઑફ સરદાર 2’ના સ્ક્રીનિંગમાં હાજરી આપ્યા પછી તેના અને મૃણાલના ડેટિંગની અફવાઓ વધી ગઈ હતી. આ મામલે મૃણાલે કહ્યું હતું કે ‘ધનુષ ‘સન ઑફ સરદાર 2’ના સ્ક્રીનિંગમાં આવ્યો હતો. આ વાતનો કોઈ બીજો ભળતો અર્થ ન કાઢવો જોઈએ. તેને અજય દેવગને આમંત્રણ આપ્યું હતું એટલે તે આવ્યો હતો. એકબીજા પ્રત્યે માન અને સન્માનની લાગણીને આવી રીતે જોવામાં આવે એ બહુ દુખદ છે.’
ધનુષ હાલમાં સિંગલ છે. તેણે રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા રજનીકાંત સાથે ૨૦૦૪માં લગ્ન કર્યાં હતાં. આ લગ્નથી તેને બે દીકરાઓ યાત્રા અને લિંગા છે. આ દંપતીએ ૨૦૨૨માં છૂટાછેડાની જાહેરાત કરી હતી. ત્યાર બાદ ૨૦૨૪માં તેમણે સત્તાવાર રીતે છૂટાછેડા લીધા હતા.