12 September, 2020 06:46 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કંગના રનોટ, હિમાંશ કોહલી
કંગના રનોટની બાંદરામાં આવેલી ઑફિસ બીએમસીએ તોડ્યા બાદ હિમાંશ કોહલીએ તેને વધુ શક્તિ મળે એવી ઇચ્છા વ્યક્ત કરી છે. કંગનાએ મુંબઈને પાકિસ્તાન ઑક્યુપાઇડ કાશ્મીર જણાવતાં વિવાદ ચગ્યો હતો. એના પડઘારૂપે તેની ઑફિસને ગેરકાયદે જણાવીને તોડવામાં આવી છે. એથી બૉલીવુડમાંથી પણ અનેક લોકોએ કંગનાને સપોર્ટ આપ્યો છે. આ વિશે હિમાંશ કોહલીએ કહ્યું હતું કે ‘આ ખરેખર મારી સમજની બહાર છે કે લોકો વાદવિવાદમાં પર્સનલ શું કામ જતા હશે? ફાઇટ્સ, ચર્ચા અને એની પરવા કર્યા વગર કે તમારો પૉઇન્ટ ખરો છે કે ખોટો એને ખતમ કરો. એ માણસાઈ તો નથી જ સાથે જ કોઈ પણ પ્રકારની હિંસાને બળ આપે એ પણ અયોગ્ય કહેવાય. એ દેખાડે છે કે તમે તમારી લાગણીને સંભાળવા માટે અક્ષમ છો. કંગના રનોટ અને તેના નવા સ્ટુડિયોની સાથે જે પણ વર્તન કરવામાં આવ્યું એ નિર્દયી છે. એક વ્યક્તિ જ્યારે મુંબઈ આવે છે, વર્ષો સુધી સ્ટ્રગલ કરીને કામ મેળવે છે, છેવટે ઘણાં વર્ષો સુધી કામ કર્યા બાદ નામના મેળવે છે. ધીમે-ધીમે સેટલ થવા માટે પ્રૉપર્ટી ખરીદે છે, જેથી તમને એક પ્રકારની સુરક્ષા અને પ્રગતિની લાગણી અનુભવાય છે. જોકે એ બધાં સપનાઓ ત્યારે રોળાઈ જાય છે જ્યારે સિસ્ટમમાંથી તમારો વિશ્વાસ ઊઠી જાય છે. કોઈની સંપત્તિ તેના માટે ખૂબ અમૂલ્ય હોય છે. આ વર્ષોની સખત મહેનતનું ફળ હોય છે. કોઈને એને નુકસાન પહોંચાડનો અધિકાર નથી. મને પૂરી ખાતરી છે કે તે ફરીથી બેઠી થશે. આ બધામાંથી ખૂબ મજબૂતાઈથી લડીને બહાર આવશે. કંગના અને તેની ટીમને વધુ સ્ટ્રેંગ્થ મળે એવી ઇચ્છા છે.’