આજે 23 વર્ષની થતાં માનુષી છિલ્લરે કહ્યું...

14 May, 2020 05:21 PM IST  |  Mumbai | Harsh Desai

આજે 23 વર્ષની થતાં માનુષી છિલ્લરે કહ્યું...

માનુષી છિલ્લર

ભૂતપૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લર આજે 23 વર્ષની થઈ રહી છે અને બૉલીવુડમાં તેની કરીઅર કેવી રહે છે એના પર તેની નજર છે. કોરોના વાઇરસને કારણે હાલમાં દરેક ફિલ્મ અને સિરિયલનું શૂટિંગ બંધ છે, પરંતુ તે અક્ષયકુમારની ‘પૃથ્વીરાજ’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી રહી છે. પ્રિયંકા ચોપડા જોનસ મિસ વર્લ્ડ બન્યાનાં 17 વર્ષ બાદ એટલે કે 2017માં માનુષી મિસ વર્લ્ડ બની હતી. તેના બર્થ-ડે વિશે વાત કરતાં માનુષીએ કહ્યું હતું કે ‘મારું જીવન પહેલેથી જ ખૂબ આશીર્વાદરૂપ રહ્યું છે અને એ માટે હું યુનિવર્સનો આભાર માનું છું. મને અત્યાર સુધી જેટલી પણ લોકપ્રિયતા મળી છે એ બદલ હું આભારી છું અને આ મુસાફરીમાં હું પોતાની જાતને એક્સપ્રેસ કરી શકી એનો મને ગર્વ છે. બૉલીવુડમાં મારી મુસાફરી હજી શરૂ થઈ છે અને મારી લાઇફ અને કરીઅર કઈ દિશામાં જાય છે એ જોવા માટે હું ઉત્સાહિત છું. મારા માટે આ બર્થ-ડે ખૂબ જ અલગ છે. મને ખબર છે કે દુનિયા હાલમાં બદલાઈ ગઈ છે અને એથી જ હું મારાં ફૅમિલી અને ફ્રેન્ડ્સ સાથે વાત કરીને દિવસ પસાર કરીશ. આપણે જે લોકોને દુઃખ-દર્દ અનુભવતા અને જીવ ગુમાવતા જોઈ રહ્યા છીએ એને કારણે બર્થ-ડે સેલિબ્રેશન હું વિચારી પણ ન શકું.’

કોરોના વાઇરસને કારણે મીડિયા અને એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રી પર ખૂબ જ મોટી અસર પડી છે. આ વિશે વાત કરતાં માનુષીએ કહ્યું હતું કે ‘મને લાગે છે કે બૉલીવુડમાં તમામ વિચારક અને વિઝનરી લોકો આ લૉકડાઉન બાદ કેવી રીતે કમબૅક કરવું એ માટે સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા હશે. આપણે એવા દેશમાં રહીએ છીએ જે લોકો તમામની સાથે મળીને સેલિબ્રેશન કરે છે. આથી આપણે બહુ જલદી થિયેટર્સમાં ફરી જોવા મળીશું. આપણે આપણી લાઇફ જેવી હતી એવી ફરીથી જીવી શકીશું, પરંતુ આપણે આપણી ફ્રીડમ, આપણા દેશ અને આપણા નેચરને પણ મહત્ત્વ આપીએ એ જરૂરી છે. આપણે હાલમાં પરિસ્થિતિ સારી થાય એની રાહ જોવાની છે, ઇકૉનૉમી પણ ઉપર આવે એ પણ જોવું પડશે અને લોકો સેફ રહે એ ખૂબ જ જરૂરી છે.’

entertainment news bollywood manushi chhillar