30 May, 2020 08:29 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અજય દેવગનની આગામી ફિલ્મ ‘મૈદાન’ માટે બનાવવામાં આવેલા સેટને તોડી નાખવામાં આવ્યો છે. સોળ એકરમાં આ ફિલ્મના સેટને ઊભો કરવામાં આવ્યો હતો. લૉકડાઉનને કારણે શૂટિંગ બંધ થઈ ગયું હતું. જોકે લૉકડાઉન બાદ ચોમાસું પણ શરૂ થઈ રહ્યું હોવાથી સેટને તોડવામાં આવ્યો છે. અગાઉ અક્ષયકુમારની ‘પૃથ્વીરાજ’ના સેટને પણ તોડવામાં આવ્યો હતો. ‘મૈદાન’ના પ્રોડ્યુસર બોની કપૂરે કહ્યું હતું કે ‘અમે મુંબઈમાં સોળ એકરમાં ખૂબ જ મોટો આઉટડોર સેટ ઊભો કર્યો હતો, જેમાં પ્રોડક્શનના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પણ સમાવેશ થતો હતો. શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યારે જ લૉકડાઉન પણ આવ્યું હતું. સેટને તોડી પાડવામાં આવ્યો છે, કારણ કે મુંબઈમાં ચોમાસું શરૂ થવાની તૈયારી છે. આ સેટને બાંધવા માટે ફરી બે મહિનાનો સમય લાગશે અને એ સપ્ટેમ્બરમાં શરૂ કરવામાં આવશે. આથી શૂટિંગ નવેમ્બરમાં શરૂ કરવામાં આવશે.’