13 October, 2020 06:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મલાઇકા અરોરા
મલાઇકા અરોરાએ ખરતા વાળને અટકાવવા માટેની ખાસ ટિપ્સ લોકોને આપી છે. તેણે હાલમાં જ કોરોનાને માત આપી છે. તેનું કહેવું છે કે કોરોનાથી રિકવર થયા બાદ તેનો હેરફૉલ થવા લાગ્યો છે. દવાની ગરમીને કારણે ઘણા લોકો વાળ ખરવાની ફરિયાદ કરી રહ્યા છે. આ જ કારણસર તેણે લોકોને ઘરગથ્થુ ઉપાયો જણાવ્યા છે. તેણે ડુંગળીને પીસીને એનો રસ વાળના મૂળમાં લગાવ્યા બાદ 45 મિનિટ પછી એને ધોવાની સલાહ આપી છે. એની નાનકડી ક્લિપ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને મલાઇકાએ કૅપ્શન આપી હતી કે ‘આપણા રોજબરોજના જીવનમાં આપણે વાળ ખરવાની સમસ્યાનો સામનો કરીએ છીએ. કોઈના જીવનમાં આ તબક્કાવાર થાય છે તો કેટલાકને રોજ આ સમસ્યાનો સામનો કરવો પડે છે. જોકે એનાથી ગભરાવાની જરૂર નથી. માત્ર એનો યોગ્ય રીતે ઉપાય શોધવાની જરૂર છે. હેલ્ધી ડાયટ અપનાવવાની સાથે ખરતા વાળને અટકાવવા માટે સરળ રીત અપનાવવી જોઈએ. કોવિડ-19થી રિકવર થયા બાદ પહેલાં કરતાં વધુ મારા વાળ ખરવા લાગ્યા હતા. દરરોજ વિટામિન્સ લેવાની સાથે જ મેં હવે ફરીથી વાળ ખરતા અટકાવવાની થેરપી શરૂ કરી છે. એક ડુંગળીને પીસીને એમાંથી રસ કાઢવો. બાદમાં એ રસને કૉટનથી વાળના મૂળમાં લગાવવો. થોડા સમય બાદ વાળને ધોઈ નાખવા. એ વાતનું ધ્યાન રાખવું કે તમારા શૅમ્પૂમાં પૅરાબેન ન હોય. તમને એક અઠવાડિયાની અંદર સારું પરિણામ મળવા લાગશે. મારા પર ભરોસો રાખો, તમે નિરાશ નહીં થાઓ.’