12 March, 2023 11:01 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય: પીઆર
બોલિવૂડ અભિનેત્રી માધુરી દીક્ષિત (Madhuri Dixit) પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. આજે સવારે તેમની માતા સ્નેહલતા દેશમુખનું નિધન થયું છે. મુંબઈના વરલી ખાતે બપોરે 3-4 કલાકે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. અભિનેત્રીની માતાની ઉંમર 91 વર્ષની હતી. માધુરી દીક્ષિત માતાની ખૂબ નજીક હતી. આવી સ્થિતિમાં, તે તેની માતાના જવાથી ખૂબ જ દુઃખી છે.
માધુરી દીક્ષિત તેની માતા સ્નેહલતાની ખૂબ નજીક હતી. ગયા વર્ષે જૂનમાં માધુરીએ તેની માતાનો 90મો જન્મદિવસ ઉજવ્યો હતો અને તેની માતાના જન્મદિવસની ઉજવણી કરતી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તેની માતા સાથેની યાદોને શૅર કરતા અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું કે, “હેપ્પી બર્થડે આઈ! કહેવાય છે કે માતા દીકરીની બેસ્ટ ફ્રેન્ડ હોય છે. તે ખરેખર સાચું છે. તમે મારા માટે જે કંઈ કર્યું છે, તમે મને જે પાઠ શીખવ્યો છે તે તમે મને આપેલી સૌથી મોટી ભેટ છે. હું તમારા માટે ફક્ત સારા સ્વાસ્થ્ય અને સુખની ઇચ્છા કરું છું.”
માધુરી દીક્ષિતની કારકિર્દીના શરૂઆતના દિવસોમાં તેની માતાએ તેને ઘણો સાથ આપ્યો હતો. ફિલ્મનું શૂટિંગ હોય કે કોઈ પણ ઈવેન્ટ, તેની માતા હંમેશા માધુરીની સાથે રહેતી. અભિનેત્રીએ ઘણી વખત કહ્યું છે કે સ્ટાર હોવા છતાં, સામાન્ય જીવન જીવવામાં તેની માતાનો મોટો હાથ છે. તેની માતાએ તેને હંમેશા જમીન પર રહેવાનું શીખવ્યું છે.