18 June, 2020 07:14 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય: સોશ્યલ મીડિયા
સુશાંત સિંહ રાજપુતની આત્મહત્યા બાદ બૉલીવુડમાં ફરી એકવાર નેપોટીઝમના મુદ્દાએ જોર પકડયું છે. ઈન્ડસ્ટ્રીના અનેક લોકોએ દાવો કર્યો છે કે, આઉટસાઈડર્સને કામ જ નથી મળતું. બૉલીવુડના અનેક નિર્માતા નવા લોકોને તક આપતા નથી અને સ્ટારકિડ્સને જ મહત્ત્વ આપે છે. આ અંગે સુશાંતના નિધનના બીજા દિવસે અભિનેત્રી કંગના રનોટે પોતાનું નિવેદન આપ્યું હતું. જેમાં કંગનાએ ઘણી મોટી હસ્તીઓને ટાર્ગેટ કરી હતી. અભિનેત્રીના આ વીડિયો બાદ એકાએક સોશ્યલ મીડિયા પર તેના ફૉલોઅર્સ વધી ગયા હતા. એટલે ઘણા લોકોએ આક્ષેપ કર્યો હતો કે, કંગનાનો આ વીડિયો PR સ્ટંટ હતો. વીડિયો બાદ અભિનેત્રી પર અનેક પ્રશ્નો ઉઠી રહ્યાં હતાં. એટલે આખરે અભિનેત્રીની ટીમને આ બાબતે ખુલાસો કરવો પડયો.
સુશાંત સિંહ રાજપુતના નિધન બાદ બનાવવામાં આવેલો વીડિયો PR સ્ટંટ છે આ દાવાને ખોટો ગણાવતા કંગના રનોટની ટીમે કહ્યું હતું કે, જો મિસ રનોટ ફૉલોઅર્સ વધવા પર ધ્યાન આપતા હોત તો તેમણે પોતાના માટે એક અકાઉન્ટ બનાવવાની જરૂર હોત. પરંતુ તેમણે સોશિયલ મીડિયા પર ન આવવાનો નિર્ણય લીધો છે. તે સફળ અભિનેત્રીઓમાંથી એક છે અને તે પોતાના મોટા ફૅન ફોલોઈંગને એન્જોય કરી શકે છે.
કંગનાની ટીમે સુશાંતના નિધનના બીજા દિવસે એટલે કે 15 જૂનના રોજ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં કંગનાએ અનેક સવાલ ઉઠાવ્યા હતાં. જેમા કંગનાએ કહ્યું હતું કે, સુશાંતની ઈમેજ ખોટી બનાવવામાં આવી હતી કે તેનું મગજ સ્થિર નથી. તેને આગળ વધવાની તક આપવામાં આવી નહોતી. વીડિયોમાં કંગનાએ ‘ગલી બોય’ને બકવાસ ફિલ્મ ગણાવી હતી અને કહ્યું હતું, ‘કાઈ પો છે’ માટે સુશાંતને કોઈ ડેબ્યૂ અવોર્ડ મળ્યો નહીં. ‘કેદારનાથ’, ‘એમ એસ ધોની’ અને ‘છિછોરે’ માટે પણ તેને કોઈ અવોર્ડ ના મળ્યો. ‘ગલી બોય’ જેવી વાહિયાત ફિલ્મને બધા જ અવોર્ડ મળ્યા. ‘છિછોરે’ બેસ્ટ ફિલ્મ હતી પરંતુ તેને કોઈ અવોર્ડથી સન્માનિત કરવામાં આવી નહીં.
34 વર્ષીય અભિનેતા સુશાંત સિંહ રાજપુતે 14 જૂનના રોજ બાંદ્રા સ્થિત ઘરમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. ત્યારબાદ સોમવારે એટલે કે 15 જૂને અભિનેતાને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. જ્યારે આજે બપોરે પટનામાં ગંગા ઘાટમાં તેની અસ્થિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.