18 August, 2020 11:56 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કંગના રનોટ, આમીર ખાન
બૉલિવુડ અભિનેતા આમિર ખાન (Aamir Khan) હાલમાં તેની ફિલ્મ ' લાલ સિંહ ચઢ્ઢા'નું તુર્કીમાં શૂટિંગ કરી રહ્યો છે. દરમિયાન અભિનેતાએ તુર્કીનાં રાષ્ટ્રપતિની પત્ની એમીન એર્દોગન (Emine Erdogan)ની મુલાકાત લીધી હતી. આ મુલાકાતની તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થતાં હોબાળો મચી ગયો છે. ફર્સ્ટ લેડી તરફથી આ મુલાકાતની તસવીરો શૅર કરવામાં આવી છે. જે બાદ આમિર ખાન પર નિશાન સાધવામાં આવ્યા હતાં. ગત દિવસોમાં કલમ 370 હટાવવા પર તુર્કી તરફથી તેનાં વિરોધી નિવેદન આવ્યા હતાં. ત્યારે જ અભિનેત્રી કંગના રનોટ (Kangana Ranaut)એ આમિર ખાનનો એક જુનો વીડિયો શૅર કરીને તેનાં સેક્યુલર હોવા પર સવાલો કર્યા છે.
કંગના રનોટે આમિર ખાનનો 2012નો ઈન્ટરવ્યૂ શૅર કરીને આમિરની ધર્મનિરપેક્ષતા પર નિશાન સાધ્યું છે. આ વિડિયોમાં આમિર ખાન એમ કહે છે કે, તે તેનાં બાળકોને સંપૂર્ણ રીતે ઈસ્લામને અનુસરવાની સલાહ આપશે. આ ઇન્ટરવ્યૂમાં આમિર ખાનને પુછવામાં આવ્યું હતું કે, શું હિન્દુ મહિલા સાથે લગ્ન કર્યા બાદ તેને કોઈ પ્રકારની દુવિધાઓનો સામનો કરવો પડ્યો હતો.
અભિનેત્રીની ટીમે ટ્વીટર પર લખ્યું છે, '' 'હિન્દૂ+ મુસ્લિમ= મુસ્લિમ' આ તો કટ્ટરપંથી છે, લગ્નનો અર્થ ફક્ત જીન્સ અને સંસ્કૃતિઓનું મિશ્રણ નથી. પણ ધર્મોનું પણ છે. બાળકોને અલ્લાહની ઇબાદત પણ શીખવો અને શ્રીકૃષ્ણની ભક્તિ પણ. આ જ ધર્મનિરપેક્ષતા છે? આમિર ખાન.''
બીજા ટ્વીટમાં કંગનાની ટીમે લખ્યું છે કે, 'આપ તો સૌથી વધુ ટોલરન્ટ હતા, આપ ક્યારથી હિન્દુઈઝમને લઈને ઈન્ટોલરન્ટ થઈ ગયા? હિન્દૂ માતાઓની સંતાનો જેમની રગોમાં શ્રી કૃષ્ણ અને શ્રી રામનું લોહી વહે છે, સનાતન ધર્મ, ભારતીય સભ્યતા, આ જ સંસ્કૃતિ જેની ધરોહર છે, તે ફક્ત અને ફક્ત ઇસ્લામને ફોલો કરશે, આવું કેમ?'
ઉલ્લેખનીય છે કે, થોડાં વર્ષ પહેલાં આમિર ખાને અસહિષ્ણુતાના મામલે કરેલા નિવેદનનો પણ મોટો વિવાદ થયો હતો અને ફિલ્મ 'પીકે'માં હિન્દુઓની લાગણી અને ધાર્મિકતાની ઠેકડી ઉડાડી એને પગલે તેને રોષનો સામનો કરવો પડયો હતો.