31 March, 2022 12:45 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સતીષ કૌશિક
સતીશ કૌશિકનું માનવું છે કે ‘તેરે નામ’ પરથી પ્રેરિત થઈને ‘કબીર સિંહ’ બનાવવામાં આવી છે. ૨૦૦૩માં આવેલી ‘તેરે નામ’માં રાધેનું પાત્ર સલમાન ખાને ભજવ્યું હતું. તે નિર્ઝરાનો રોલ કરનાર ભૂમિકા ચાવલાના પ્રેમમાં પડે છે, તેનો પીછો કરે છે, ડરાવે છે અને ધમકાવે છે. રાધેનો પ્રેમ હિંસક રૂપ લઈ લે છે. સલમાનને સ્ટોરી તો ગમી હતી પરંતુ શરૂઆતમાં તે આ રોલ કરવા માટે રાજી નહોતો, કેમ કે સ્ટોરી દ્વારા ખોટો મેસેજ લોકો સુધી જશે એવું તેને લાગતું હતું. એ જ સ્ટોરીને શાહિદ કપૂરની ‘કબીર સિંહ’માં પણ દેખાડવામાં આવી છે. એ વિશે સતીશ કૌશિકે કહ્યું કે ‘સલમાન હંમેશાંથી કહેતો હતો કે ફિલ્મ સારી છે અને સફળ પણ થશે. જોકે એનું કૅરૅક્ટર ખોટો મેસેજ આપશે. ‘કબીર સિંહ’ને લઈને પણ આ ચર્ચા હતી. ‘કબીર સિંહ’ ‘તેરે નામ’ની અડૅપ્ટેડ કૉપી છે.’