01 July, 2020 07:53 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દિલજિત દોસંજનું કહેવું છે કે સુશાંત સિંહ રાજપૂતની ‘દિલ બેચારા’ને થિયેટરમાં જ રિલીઝ કરવામાં આવી જોઈએ. સુશાંત સિંહ રાજપૂતે સુસાઇડ કરીને દરેકને આઘાત આપ્યો હતો. તેની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ને હવે ડિઝની+હૉટસ્ટાર પર 24 જુલાઈએ રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મને કોઈ પણ વ્યક્તિ ફ્રીમાં જોઈ શકશે. સુશાંતની ફિલ્મનું પોસ્ટર ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને દિલજિત દોસંજે કૅપ્શન આપી હતી કે ‘આ વીરને હું બે વાર મળ્યો હતો. એકદમ જાનદાર બંદા થા યાર. આ ફિલ્મ થિયેટર્સમાં જ રિલીઝ થવી જોઈતી હતી.’
સુશાંત સિંહ રાજપૂતની યાદમાં ‘પવિત્ર રિશ્તા’ને ફરી ટીવી પર રજૂ કરવામાં આવશે. સુશાંત ‘પવિત્ર રિશ્તા’ દ્વારા ઘર-ઘરમાં જાણીતું નામ બન્યો હતો. 14 જૂને તેણે સુસાઇડ કર્યું હતું અને એનાથી એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીની સાથે તેના ચાહકોને પણ ખૂબ જ આઘાત લાગ્યો હતો. સુશાંતને ટ્રિબ્યુટ આપવા માટે ઝી અનમોલ પર આ શોને ફરીથી રજૂ કરવામાં આવશે. આ શોને સોમવારથી રવિવાર દરમ્યાન રોજ ચારથી છ દરમ્યાન રજૂ કરવામાં આવશે. આ શોમાં તેણે માનવ દેશમુખનું પાત્ર ભજવ્યું હતું. આ શો દ્વારા સુશાંતને તેની લાઇફમાં બે ખૂબ જ મહત્ત્વની વ્યક્તિ મળી હતી, જે છે એકતા કપૂર અને અંકિતા લોખંડે. અંકિતા લોખંડે સાથે તે લગ્ન કરવાનો હતો, પરંતુ છ વર્ષની રિલેશનશિપ બાદ તેમનું બ્રેકઅપ થઈ ગયું હતું.