06 July, 2020 06:23 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઈન્સ્ટાગ્રામે અભિનેતાના અકાઉન્ટને મેમરાઈઝ્ડ કરીને 'Remembering' જોડયું
છેલ્લા બે વર્ષથી ન્યૂરોએન્ડ્રોક્રાઈન ટ્યૂમર સામે ઝઝૂમી રહેલા બૉલીવુડ અભિનેતા ઈરફાન ખાને 29 એપ્રિલે દુનિયાને અલવિદા કહી દીધું હતું. ઈરફાન ખાનના આકસ્મિક નિધનથી માત્ર પરિવારજનોને જ નહીં પરંતુ બૉલીવુડ અને ફૅન્સ સહુને આધાત લાગ્યો હતો. ફૅન્સ અભિનેતાની થ્રોબૅક તસવીરો સતત સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરતા હોય છે. આ બાબતની નોંધ સોશ્યલ નેટવર્કિંગ સાઈટ ઈન્સ્ટાગ્રામે પણ લીધી છે અને અભિનેતાના અકાઉન્ટને મેમરાઈઝ્ડ કરીને 'Remembering' ટેગ જોડયું છે.
મેમરાઈઝ્ડ આઈડીમાં અકાઉન્ટના બાયોમાં ‘રિમેમ્બરિંગ’ ટેગ એડ કરવામાં આવે છે. આવા અકાઉન્ટમાં કોઈપણ વ્યક્તિ લોગ ઈન કરી શકતું નથી. આવા અકાઉન્ટ્સ વ્યકતિના મૃત્યુ બાદ તેની યાદમાં બનાવવામાં આવે છે. મેમરાઈઝ્ડ આઈડી ઈન્સ્ટાગ્રામની એક્સપ્લોર જેવી જગ્યા પર જોવા મળતા નથી. અકાઉન્ટની કોઈપણ માહિતી, પોસ્ટ, કમેન્ટ્સ વગેરેમાં કોઈ ફેરફાર થતો નથી.
ઉલ્લેખનીય છે કે, આ પહેલાં સુશાંત સિંહ રાજપુતના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં 'Remembering' ટેગ એડ કરવામાં આવ્યું હતું. અભિનેતા સુશાંત સિંહ રાજપુતે 14 જૂનના રોજ બાંદ્રા સ્થિત ઘરમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, અભિનેતા છેલ્લા છ મહિનામાંથી ડિપ્રેશનમાં હતો અને સારવાર કરાવતો હતો. આ કેસની પોલીસ તપાસ ચાલી રહી છે. એક રસપ્રદ વાત એ છે કે, સુશાંત સિંહ રાજપુતના નિધન બાદ તેના ઈન્સ્ટા ફૉલોઅર્સમાં વધારો થયો છે.