શા માટે વાયુસેના ભડકી અનિલ કપૂર ઉપર?

09 December, 2020 07:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

શા માટે વાયુસેના ભડકી અનિલ કપૂર ઉપર?

ફાઈલ ફોટો

અભિનેતા અનિલ કપૂર (Anil Kapoor)ના આવનારા પ્રોજેક્ટ ‘AK vs AK’માં વાયુસેના અધિકારીને જે રીતે દર્શાવવામાં આવ્યો છે, તેના પર વાયુસેના (Indian Air Force)એ વાંધો ઉઠાવ્યો છે.

બુધવારના વાયુસેના તરફથી કરવામાં આવેલા ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે, ફિલ્મમાંથી આ પ્રકારના સીન તરત હટાવવા જોઇએ. ઉલ્લેખનીય છે કે ઑનલાઇન પ્લેટફોર્મ્સ નેટફ્લિક્સ પર એક પ્રોજેક્ટ આવવાનો છે, જેનું નામ ‘AK vs AK’ છે.

તાજેતરમાં આનું ટ્રેલર જાહેર કરવામાં આવ્યું, જેમાં અનિલ કપૂર એક વાયુસેના અધિકારીની વર્દી પહેરેલો જોવા મળી રહ્યો છે. સીનમાં અનિલ કપૂર બોલીવુડ ડાયરેક્ટર અનુરાગ કશ્યપની સાથે છે અને વાંધાજનક શબ્દોનો ઉપયોગ કરી રહ્યા છે. હવે વાયુસેનાએ આ વિડીયોને રિટ્વીટ કરતા કહ્યું છે કે આ વિડીયોમાં વાયુસેનાની વર્દીનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો છે અને ભાષા પણ યોગ્ય નથી. આ દેશ માટે વર્દી પહેરનારા જવાનોનું યોગ્ય દ્રશ્ય નથી, આવામાં આ સીનને હટાવવો જોઇએ.

આ ફિલ્મના પ્રમોશન માટે થોડાક દિવસ પહેલા અનિલ કપૂર અને અનુરાગ કશ્યપ વચ્ચે સોશિયલ મીડિયા પર ઝગડો પણ થયો હતો. બંનેએ એક-બીજાના કેરિયરને લઈને મજાક ઊડાવી હતી. બંનેએ એક-બીજા પર વ્યક્તિગત ટિપ્પણી કરી હતી, જેને જોઇને લાગી રહ્યું હતુ કે જાણે બંને સાચે જ લડી રહ્યા હોય. જો કે આ ફક્ત ફિલ્મના પ્રમોશનનો ભાગ હોવાનું કહેવાય છે.

anil kapoor bollywood indian air force