14 January, 2022 11:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આશા ભોસલે
લતા મંગેશકરની તબિયત હવે સુધારા પર છે એવી માહિતી આશા ભોસલેએ આપી છે. આ અગાઉ ઉષા મંગેશકરે પણ જણાવ્યું હતું કે દીદીની હેલ્થમાં સુધાર થઈ રહ્યો છે. લતા મંગેશકરને કોવિડ અને ન્યુમોનિયા થતાં બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. તેઓ આઇસીયુમાં છે. ડૉક્ટરના કહેવા મુજબ તેમને ઑર્બ્ઝવેશન માટે હજી થોડા દિવસ રહેવું પડશે. તેમના સ્વાસ્થ્ય વિશે આશા ભોસલેએ કહ્યું હતું કે ‘હૉસ્પિટલમાં કોઈને અંદર જવાની પરવાનગી નથી. હું પણ ગઈ હતી, પરંતુ મને તો કમ્પાઉન્ડની અંદર પણ જવા દીધી નહીં. વર્તમાનમાં ચાલી રહેલી મહામારીને જોતાં સખત નિયમો અને દિશાનિર્દેશોનું પાલન કરવામાં આવે છે. મારી તબિયત પણ નથી સારી. મને પણ શરદી અને કફ છે. મને કોવિડ નથી થયો, પરંતુ વાતાવરણમાં પરિવર્તન આવતાં તબિયત ખરાબ થઈ છે. જોકે દીદીની તબિયત સુધારા પર છે. પહેલાં કરતાં તેમને સારું છે.’