20 April, 2026 11:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રામ ગોપાલ વર્મા
૧૯૯૦ના દાયકામાં બૉલીવુડમાં અન્ડરવર્લ્ડનો ભારે પ્રભાવ રહ્યો હતો. ઇન્ડસ્ટ્રીના લોકો પણ એને ખુલ્લેઆમ સ્વીકારતા હતા. જોકે ફિલ્મમેકર રામ ગોપાલ વર્માનો અનુભવ આ બધાથી અલગ રહ્યો છે.
અન્ડરવર્લ્ડ સાથેના પોતાના અનુભવ વિશે વાત કરતાં રામ ગોપાલ વર્માએ પોતાની આત્મકથા ‘ગન્સ ઍન્ડ થાઇઝ’ વિશે વાત કરતાં જણાવ્યું કે તેમણે આ પુસ્તક દાઉદ ઇબ્રાહિમને સમર્પિત કર્યું હતું, પરંતુ પછી પ્રકાશકોએ તેનું નામ હટાવી દીધું હતું. રામ ગોપાલ વર્માએ કહ્યું કે જો દાઉદ ઇબ્રાહિમ ન હોત તો હું ‘સત્યા’ અને ‘કંપની’ જેવી આઇકૉનિક ફિલ્મો બનાવી શક્યો ન હોત. રામ ગોપાલ વર્માએ સ્વીકાર્યું કે આ ફિલ્મો દ્વારા હું પોતાનું જીવનનિર્વાહ કરી રહ્યો છું.
બૉલીવુડમાં ઘણા લોકોને અન્ડરવર્લ્ડ સાથેના ડરામણા અનુભવો થયા છે પણ રામ ગોપાલ વર્માનું કહેવું છે કે તેને ક્યારેય કોઈ ધમકી મળી નથી. તેણે જણાવ્યું કે અન્ડરવર્લ્ડના લોકો તેની ફિલ્મો ‘સત્યા’ અને ‘કંપની’ને ખૂબ પસંદ કરતા હતા, એથી તેઓ તેને પરેશાન કરવા માગતા નહોતા.