24 December, 2023 09:45 AM IST | Mumbai | Bhavya Gandhi
પ્રતીકાત્મક તસવીર
સિગ્નલ તો સતત આવ્યા જ કરે અને એ ઉપરવાળો મોકલ્યા જ કરે, પણ એ સિગ્નલને ઝીલવા માટે તમારું ઍન્ટેના અલર્ટ મોડ પર હોવું જોઈએ. આ ઍન્ટેના અલર્ટ મોડ પર ત્યારે જ આવે જ્યારે એમાં ફાલતુ અને નકામાં સિગ્નલ ભરવામાં ન આવ્યાં હોય, એ સતત બિઝી ન હોય, એ શાંત હોય અને સિગ્નલ કૅચ કરવા માટે તૈયાર હોય.
આવતા રવિવારે થર્ટીફર્સ્ટ ડિસેમ્બર છે, વર્ષનો છેલ્લો દિવસ. મારે જેકાંઈ કહેવું છે એને માટે એક વીક ઍડ્વાન્સ રહેવું જરૂરી હતું એટલે આજે વાત કરું છું.
થર્ટીફર્સ્ટ માટે પાર્ટીના પ્લાન શરૂ થઈ ગયા હશે તો અનેકે તો પાર્ટી ફાઇનલ પણ કરી લીધી હશે, પણ હું કહેવા માગું છું કે આ વર્ષનો છેલ્લો દિવસ અને છેલ્લી રાત એટલે કે નવા વર્ષનો પહેલો દિવસ તમે નેચરમાં જઈને સેલિબ્રેટ કરો અને આ વર્ષે નક્કી કરો કે નેચર સાથે જેટલું વધારે રહી શકાય એટલું રહેવું છે. નેચર આપણે માટે બહુ જરૂરી છે. નેચર છે તો આપણે છીએ અને એટલે જ હું કહેતો હોઉં છું, ‘Nature always nurture, nature makes you mature.’
આજની ફાસ્ટ લાઇફમાં આપણે નૅચરલથી બહુ દૂર થઈ ગયા છીએ. આખો દિવસ સિટીની ભાગદોડ અને એ ભાગદોડ વચ્ચે કંપની આપતાં આપણાં ગૅજેટ્સ. મુંબઈ જેવા શહેરમાં તો ખુલ્લું આકાશ પણ આપણને ભાગ્યે જ જોવા મળે છે ત્યારે જે નેચરે આપણને આજ સુધી સાચવ્યા છે, જે નેચર આજ સુધી આપણને જાળવી રહ્યું છે એ નેચર સાથે આપણે સંબંધ તોડી નાખ્યા છે. ક્યારે તમે જઈને એક ઝાડ પાસે ઊભા રહ્યા, ક્યારે તમે કોઈ એક ઝાડને પ્રેમથી હગ કર્યું એ તમને યાદ છે? ગૅરન્ટી, તમને યાદ નહીં હોય. કારણ કે હવે એવો ટાઇમ જ કોઈની પાસે નથી. જે નેચરે તમને પોતાની પાસે અકબંધ રાખ્યા છે એ નેચરને આપણી સાથે રાખવાનો સમય ન હોય તો જેન્યુઇનલી આપણે જાગી જવું જોઈએ. સૂર્યોદય જોયાને વર્ષો વીતી ગયાં. હા, એ જોવા મળે છે, પણ ત્યારે જ જ્યારે આપણે વહેલી સવારે ટ્રાવેલ કરવાનું હોય છે અને એ પણ ખરેખર તો સૂર્યોદય જોયાની કૅટેગરીમાં તો ન જ મૂકી શકાય, કારણ કે એવા સમયે પણ આપણને સૂર્ય તો દેખાતો જ નથી. ચાલો, કહો જોઈએ છેલ્લે ક્યારે તમે શાંતિથી સૂર્યાસ્ત જોયો? જુહુ જઈને થોડી વાર બીચ પર બેઠા હોઈએ અને એ સમયે સૂર્યાસ્ત જોઈ લીધો હોય કે અનાયાસ જોવા મળી ગયો હોય એને સનસેટ જોયો ન કહેવાય એટલે તમે એને અહીં કાઉન્ટ ન કરી શકો.
કહો જોઈએ, ક્યારે તમે ગ્રીનરી વચ્ચે ગાર્ડનમાં બેસીને સવારની ચા પીધી અને ક્યારે તમે સાંજના સમયે ઘરે પાછાં જતાં પક્ષીઓને જોયાં અને ક્યારે તમે એ પક્ષીઓને વાતો કરતાં સાંભળ્યાં? ક્યારેય નહીં, કારણ કે સિમેન્ટના જંગલ વચ્ચે રહેવાની અને મોબાઇલ સાથે સતત બિઝી રહેવાની આપણને આદત પડી ગઈ છે. એક વાત મારે તમને આજે કહેવી છે કે આપણને બિઝી રહેવાનું અને સતત ઍક્ટિવ હોવાનું વ્યસન થઈ ગયું છે અને એટલે જ જ્યારે કોઈ કામ નથી હોતું, સાવ નવરાશ હોય છે ત્યારે પણ આપણે જાતને મોબાઇલ કે પછી બીજાં કોઈ ગૅજેટ્સ સાથે બિઝી કરી દઈએ છીએ. કોઈએ બહુ સરસ વાત કહી છે, નિષ્ક્રિય હોવું એ પણ એક પ્રકારની સક્રિયતા છે અને એ નિષ્ક્રિયતા જ તમને કુદરત સાથે કનેક્ટ કરવાનું કામ કરતી હોય છે.
નાટક અને ફિલ્મ ‘૧૦૨ નૉટ આઉટ’ અને એવાં જ બીજાં અનેક બેસ્ટ ક્રીએશન આપણને આપનારા ગુજરાતી રાઇટર સૌમ્ય જોષીએ પોતાની એક સ્પીચમાં બહુ સરસ વાત કરી હતી, વિડિયોમાં સાંભળેલી એ વાત મારે તમારી સાથે શૅર કરવી છે. સૌમ્યસરે કહ્યું હતું કે ઉપરથી સિગ્નલ તો સતત આવ્યા જ કરે છે અને એ ઉપરવાળો મોકલ્યા જ કરે છે, પણ એ સિગ્નલને પકડવા માટે તમારું ઍન્ટેના અલર્ટ મોડ પર હોવું જોઈએ. આ ઍન્ટેના અલર્ટ મોડ પર ત્યારે જ આવે જ્યારે એમાં ફાલતુ અને નકામાં સિગ્નલ ભરવામાં ન આવ્યાં હોય, એ સતત બિઝી ન હોય, એ શાંત હોય અને સિગ્નલ કૅચ કરવા માટે તૈયાર હોય. બહુ સાચી વાત છે આ.
જો મોબાઇલ જેવા મોબાઇલમાં આ સિદ્ધાંત લાગુ પડતો હોય તો આપણે તો માણસ છીએ. આપણે તો આ વાત સમજવી જ રહી. આપણે ફ્રી થવું પડે અને ફ્રી થઈને થોડો સમય રહેવું પણ પડે. જો તમે ફ્રી ન હો તો ઉપરવાળા પાસેથી આવતાં સિગ્નલ તમારું ઍન્ટેના પકડે જ નહીં. જો તમે સતત બિઝી રહો, જો તમારું ઍન્ટેના સતત આજુબાજુનાં બધાં સિગ્નલ કૅચ કરતું રહે તો એ ઇમ્પોર્ટન્ટ સિગ્નલ મિસ કરી દે અને જો ઇમ્પોર્ટન્ટ સિગ્નલ મિસ થયાં તો...
નથી કરવાં હવે એ મિસ અને એટલે જ કહું છું કે આ થર્ટીફર્સ્ટ માટે નીકળી જજો મુંબઈથી દૂર અને મનથી, દિલથી નેચર સાથે રહો. તમારી ફૅમિલીને પણ સાથે લઈ જાઓ અને એને પણ બન્નેનો એક્સ્પીરિયન્સ કરાવો, નેચરનો અને કોઈ જાતનાં ગૅજેટ્સ વિનાના સિગ્નલ-ફ્રી તમારો.