25 May, 2026 06:06 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રણવીર સિંહ - ફરહાન અખ્તર - ફાઇલ તસવીર
ડિરેક્ટર-પ્રોડ્યુસર ફરહાન અખ્તરની આગામી મોસ્ટ અવેટેડ ફિલ્મ `ડોન ૩` (Don 3) માંથી અચાનક બહાર નીકળી જવાના વિવાદમાં રણવીર સિંહ પર ફિલ્મ સંગઠન `ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝ` (FWICE) દ્વારા પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. FWICE દ્વારા રણવીર સિંહ વિરુદ્ધ અસહકારનું (non-cooperation) ડિરેક્ટિવ જાહેર કરવામાં આવ્યું છે અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીને તેની સાથે કામ ન કરવા સૂચના આપી દેવામાં આવી છે. ગયા અઠવાડિયે હાથ ધરાયેલી સુનાવણી બાદ સોમવારે મીડિયા સમક્ષ આ સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.
અહેવાલો અનુસાર, ફરહાન અખ્તર અને રિતેશ સિધવાનીના પ્રોડક્શન હાઉસ `એક્સેલ એન્ટરટેઈનમેન્ટ` હેઠળ બનનારી ફિલ્મ `ડોન ૩` નું શૂટિંગ શરૂ થવાના ગણતરીના દિવસો પહેલા જ રણવીર સિંહે આ પ્રોજેક્ટ છોડી દીધો હતો. પ્રોડક્શન હાઉસે આક્ષેપ કર્યો છે કે રણવીરના અચાનક એક્ઝિટ થવાને કારણે તેમને પ્રી-પ્રોડક્શન અને અન્ય તૈયારીઓમાં મોટું આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે. આ વિવાદ પહેલા `પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયા` સમક્ષ પણ ગયો હતો, પરંતુ ત્યાં સિનિયર પ્રોડ્યુસર્સની મધ્યસ્થતા છતાં કોઈ ઉકેલ આવી શક્યો નહોતો.
FWICE ના ચીફ એડવાઇઝર અશોક પંડિતે આ બાબતને અત્યંત ગંભીર ગણાવતા કહ્યું હતું કે, "આ એક બહુ ખોટો ટ્રેન્ડ શરૂ થયો છે. શૂટિંગ શરૂ થવાના માત્ર ૧૦ દિવસ પહેલા તમે કોઈ પ્રોજેક્ટમાંથી પાછા ન હટી શકો. અમે ઇન્ડસ્ટ્રીના હિતમાં આ કડક નિર્ણય લીધો છે. કાલે ઉઠીને ગમે તે વ્યક્તિ ફિલ્મ અધવચ્ચે છોડીને જઈ શકે નહીં, અમે ફિલ્મ ઉદ્યોગને બરબાદ થવા દઈ શકીએ નહીં." આ મામલે ફેડરેશનના પ્રમુખ બી.એન. તિવારી, ચીફ એડવાઇઝર અશોક પંડિત, માનદ જનરલ સેક્રેટરી અશોક દુબે અને ટ્રેઝરર ગંગેશ્વરલાલ શ્રીવાસ્તવની બનેલી લીડરશિપે આંતરિક બેઠક યોજીને આ મોટો નિર્ણય લીધો છે.
તાજેતરમાં જ `ધ હોલીવુડ રિપોર્ટર ઇન્ડિયા` ને આપેલા એક ઇન્ટરવ્યુમાં ડિરેક્ટર ફરહાન અખ્તરે પણ આ ગૂંચવણ તરફ ઈશારો કરતા કહ્યું હતું કે, "છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણું બધું બન્યું છે. તમે ન ધારેલી બાબતોની અપેક્ષા રાખતા શીખી જાઓ છો. જ્યાં સુધી ફિલ્મ ખરેખર શૂટ ન થઈ જાય, ત્યાં સુધી કોઈ પણ વસ્તુને પાકી માની શકાય નહીં." ઉલ્લેખનીય છે કે રણવીર સિંહ છેલ્લે ડિરેક્ટર આદિત્ય ધરની જાસૂસી થ્રિલર ફિલ્મ `ધુરંધર: ધ રિવેન્જ` માં જોવા મળ્યો હતો. બીજી તરફ, ફરહાન અખ્તરે છેલ્લે ૨૦૧૧માં શાહરૂખ ખાન સ્ટારર `ડોન ૨` નું નિર્દેશન કર્યું હતું. હવે રણવીર સિંહ પર લાગેલા આ આકરા પ્રતિબંધ બાદ `ડોન ૩` નું ભવિષ્ય શું હશે અને રણવીર આ મામલે શું પ્રતિક્રિયા આપે છે, તેના પર સમગ્ર બોલિવૂડની નજર મંડાયેલી છે.