04 November, 2020 11:52 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફરાઝ ખાન
'મેહંદી', 'ફરેબ' જેવી ફિલ્મોમાં અભિનય કરનાર અભિનેતા ફરાઝ ખાન (Faraaz Khan)નું નિધન થયું છે. 46 વર્ષીય અભિનેતા બેંગલુરુની હૉસ્પિટલના ICU વોર્ડમાં દાખલ હતા અને તે બ્રેઈન ઈન્ફેક્શન તથા ન્યૂમોનિયા સામે લડી રહ્યા હતા. તેમની સ્થિતિ ઘણી ગંભીર હતી. તેમના મૃત્યુના સમાચાર અભિનેત્રી પૂજા ભટ્ટ (Pooja Bhatt)એ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને આપ્યા છે.
ફરાઝ ખાનનું નિધન થયું હોવાના સમાચાર આપતા પુજા ભટ્ટે ટ્વીટ કર્યું હતું કે, 'ભારે હૃદય સાથે જણાવું છું કે ફરાઝ ખાન આપણને છોડીને જતા રહ્યા છે અને હું માનું છું કે કોઈ સારી જગ્યાએ તેઓ ગયા છે. જ્યારે તેને ખૂબ જરૂર હતી ત્યારે તમારા બધાની મદદ અને વિશ માટે આભાર. પ્લીઝ તેના પરિવાર માટે પ્રાર્થના કરજો. તેના જવાથી જે ખાલિપો સર્જાયો છે તે ભરવો અશક્ય છે.'
ગત મહિને ફરાઝના ફેમિલી મેમ્બર્સ ફહાદ અબાઉશર તથા અહદમ શમૂને એક ફંડ રાઈઝર વેબસાઈટના માધ્યમથી આર્થિક મદદની અપીલ કરી હતી. હૉસ્પિટલ આવ્યા પછી તેમને ખ્યાલ આવ્યો કે, અભિનેતાને મગજમાં હર્પીઝનો ચેપ લાગ્યો હોવાને કારણે તેને અટેક આવતા હતા. ચેપ છાતીથી મગજ સુધી ફેલાઈ ગયો છે. તેને ICUમાં જરૂરી સારવાર આપવા માટે 25 લાખ રૂપિયાની જરૂર હતી. ત્યારે અભિનેત્રી પુજા ભટ્ટ અને અભિનેતા સલમાન ખાને તેમને મદદ કરી હતી. તેમ છતા ફરાઝ ખાન જિંદગી સામેની લડાઈ હારી ગયો અને આજે તેનું 46 વર્ષની વયે નિધન થયું છે.
ફરાઝ ખાન વિતેલા સમયના કેરેક્ટર આર્ટિસ્ટ યુસુફ ખાન ('અમર અકબર એન્થોની' ફેમ જેબિસકો)ના દીકરા છે. તેણે રાની મુખર્જીની ફિલ્મ 'મેહંદી' (1998)માં લીડ રોલ પ્લે કર્યો હતો. આ ઉપરાંત તેણે 'ફરેબ', 'પૃથ્વી', 'દિલ ને ફિર યાદ કિયા' જેવી ફિલ્મમાં કામ કર્યું હતું.