03 September, 2019 06:03 PM IST | મુંબઈ ડેસ્ક
શ્રીદેવી (તસવીર સૌજન્ય મૈડમ તુસાદ ટ્વિટર)
બોલીવુડની સુંદર અભિનેત્રી શ્રીદેવીનો 13 ઑગસ્ટે જન્મદિવસ હતો અને આ અવસરે તેના ચાહકોને એક સારા સમાચાર મળ્યા. સિંગાપોરના મૈડમ તુસાદ મ્યુઝિયમમાં તેનો એક્સક્લુઝિવ વેક્સ સ્ટેચ્યુ મૂકવામાં આવશે. આ સમાચાર બાદ શ્રીદેવીના ચાહકો તેની મીણની પ્રતિમા જોવા માટે ઉત્સુક હતા. હવે આ સ્ટેચ્યુનું ટૂંક સમયમાં જ એટલે કે 4 સપ્ટેમ્બરે એટલે કે બુધવારે સિંગાપોરમાં શ્રીદેવીના વેક્સ સ્ટેચ્યુનું અનાવરણ થશે.
શ્રીદેવીના મીણના પુતળાની તસવીરો તેના જન્મદિવસે મૈડમ તુસાદ સિંગાપોર તરફથી ટ્વિટ કરવામાં આવી હતી. આ તસવીરોમાં તેનો સંપૂર્ણ લૂક તો જોવા મળ્યો ન હતો પણ તેની ઝલક પરથી ખ્યાલ આવી ગયો હતો કે આ પુતળું કેટલું ક્લાસિક હશે. હવે બોની કપૂરે એક વીડિયો શેર કર્યો છે જેમાં આ પુતળાની આખી ઝલક જોવા મળે છે. બોની કપૂરે આ વીડિયો સાથે લખ્યું છે કે, "શ્રીદેવી ફક્ત અમારી માટે જ નહીં, પણ કરોડો ચાહકોના મનમાં જીવશે. હું આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો છું મૈડમ તુસાદમાં તેના પુતળાના અનાવરણનું."
એકાએક થયું નિધન
શ્રીદેવી 24 ફેબ્રુઆરી 2018ના આ વિશ્વ છોડીને પરલોક સિધાયા હતા અને તેના ચાહકોને શોકમાં ડૂબાડી દીધા હતા. શ્રીદેવીના નિધન સમયે તે 54 વર્ષની હતી. તેણે દુબઈની એક હોટલમાં અંતિમ શ્વાસ લીધા. હોટેલના બાથરુમમાં ટબમાં ડૂબી જવાને કારણે તેનું નિધન થયું. જ્યારે શ્રીદેવીના નિધનના સમાચાર આવ્યા ત્યારે કોઇપણ વ્યક્તિ આ ઘટના પર વિશ્વાસ કરી શકતાં ન હતા. તેના પરિવારજનો જ નહીં ચાહકોને પણ આ સદમામાંથી બહાર આવતાં ઘણો સમય લાગ્યો. હવે સિંગાપોરથી શ્રીદેવીના ચાહકો માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે.
આ પણ વાંચો : Sadhana: એક સમયે બોલીવુડમાં ગણાતા હતા સ્ટાઈલ આઈકન
જણાવીએ કે 1975ની ફિલ્મ જૂલી દ્વારા શ્રીદેવીએ હિન્દી સિનેમામાં બાળ અભિનેત્રી તરીકે પગ મૂક્યો હતો. લીડ અભિનેત્રી તરીકે શ્રીદેવીએ 1978ની ફિલ્મ સોલહવા સાવન દ્વારા શરૂઆત કરી. પણ 1983ની ફિલ્મ હિમ્મતવાલાથી તેને પોતાની એક આગવી ઓળખ મળી. એક પછી એક સુપરહિટ ફિલ્મોને કારણે ભારતીય સિનેમામાં તે સૌથી મોટી અભિનેત્રી તરીકે જાણીતી થઈ. સદમા, નાગિન, નિગાહે, મિસ્ટર ઇન્ડિયા, ચાલબાઝ, લમ્હે, ખુદાગવાહ અને જુદાઈ તેની જાણીતી અને લોકપ્રિય ફિલ્મો છે. પોતાની ફિલ્મી કારકિર્દીમાં શ્રીદેવીએ 63 હિન્દી, 62 તેલુગુ, 58 તામિલ, 21 મલયાલમ તેમજ કેટલીક કન્નડ ફિલ્મોમાં પણ કામ કર્યું.