23 April, 2026 10:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
રણવીર સિંહની ‘ધુરંધર’ ફ્રૅન્ચાઇઝે જોરદાર કમાણી કરી છે. આ ફ્રૅન્ચાઇઝની બન્ને ફિલ્મોએ સાથે મળીને ૩૦૦૦ કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યો છે. આ ફ્રૅન્ચાઇઝની સફળતાની સાથે-સાથે રણવીરની બીજી ફિલ્મ ‘ડૉન 3’ના મામલે મોટો વિવાદ સર્જાયો હતો. જોકે હવે એનું સમાધાન થઈ ગયું હોવાના રિપોર્ટ છે. મળતી માહિતી પ્રમાણે રણવીરે હવે ‘ડૉન 3’ના પ્રોડ્યુસર ફરહાન અખ્તરને પૈસા પરત આપવાની સંમતિ આપી છે. આ મામલાને ઉકેલવા માટે ઘણા પ્રયાસો થયા હતા, પરંતુ પહેલાં સ્થિતિમાં કોઈ ફેરફાર આવ્યો નહોતો પણ હવે આ મામલો થાળે પડી ગયો છે.
છેલ્લા સમાચાર પ્રમાણે રણવીરે પોતાની સાઇનિંગ અમાઉન્ટ પરત આપવા માટે સંમતિ આપી છે જે અંદાજે ૧૦ કરોડ હતી. આ સાથે જ એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે રણવીરે હવે ફરહાન અખ્તરની એક્સેલ એન્ટરટેઇનમેન્ટને એક વચન આપ્યું છે. આ વચન મુજબ તે પોતાની આગામી ફિલ્મ ‘પ્રલય’માં એક્સેલ એન્ટરટેઇનમેન્ટને ‘હિસ્સેદારી’ આપશે. જોકે કેટલા ટકા હિસ્સો આપવામાં આવશે એ અંગે કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. હાલ આ મામલે રણવીર સિંહ, ફરહાન અખ્તર અથવા એક્સેલ એન્ટરટેઇનમેન્ટ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.
‘ધુરંધર’ બાદ રણવીર સિંહે ‘ડૉન 3’ પર કામ શરૂ કરવાનું હતું પરંતુ શૂટિંગ શરૂ થાય એ પહેલાં જ તેણે ફિલ્મ છોડવાનો નિર્ણય લીધો. ‘ડૉન 3’ના પ્રોડ્યુસર ફરહાન અખ્તરે જણાવ્યું હતું કે રણવીરના આ નિર્ણયથી પ્રોજેક્ટને નુકસાન થયું છે એટલે અંદાજે ૪૦ કરોડનું વળતર માગવામાં આવ્યું હતું. ફરહાને દલીલ કરી હતી કે રણવીરની સંમતિ બાદ જ ફિલ્મનું પ્રી-પ્રોડક્શન શરૂ કરવામાં આવ્યું હતું. આ મામલે રણવીરનું કહેવું હતું કે તેને સ્ક્રિપ્ટ પસંદ ન આવતાં તેણે ફિલ્મ છોડવાનો નિર્ણય લીધો. રણવીરે એવો આરોપ પણ લગાવ્યો હતો કે ફરહાન તેની જગ્યાએ ફિલ્મમાં હૃતિક રોશનને લેવા વિચારી રહ્યો હતો. આ મામલામાં વળતર મુદ્દે બન્ને પક્ષ વચ્ચે ભારે વિવાદ થયો હતો અને મામલો પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઑફ ઇન્ડિયા સુધી પહોંચી ગયો હતો.