28 May, 2026 10:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રિપોર્ટ મુજબ શાહરુખે ૨૦૨૨માં જ ‘ડૉન 3’માંથી અલગ થવાનો નિર્ણય લઈ લીધો હતો
રણવીર સિંહ હાલમાં ‘ડૉન ૩’માંથી બહાર નીકળવાના નિર્ણયને લઈને સોશ્યલ મીડિયા પર ભારે ચર્ચામાં છે. અહેવાલો મુજબ ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લૉઈઝે તેના વિરુદ્ધ ‘નૉન-કોઑપરેશન’ પણ જાહેર કર્યું છે. આ સંજોગોમાં રણવીરે ‘ડૉન 3’ કેમ છોડી એ વિશેની ચર્ચા તો ચાલી રહી જ છે, પરંતુ હવે એ પણ સામે આવ્યું છે કે આ ફ્રૅન્ચાઇઝીની બે સફળ ફિલ્મો કર્યા બાદ શાહરુખ ખાને પણ ફરહાન અખ્તરની આ ફિલ્મ કેમ છોડી હતી એની ચર્ચા શરૂ થઈ છે.
રિપોર્ટ મુજબ શાહરુખે ૨૦૨૨માં જ ‘ડૉન 3’માંથી અલગ થવાનો નિર્ણય લઈ લીધો હતો. હકીકતમાં શાહરુખને ફિલ્મની સ્ક્રિપ્ટ સાથે થોડી સમસ્યા હતી અને તેને લાગતું હતું કે આ આઇકૉનિક પાત્ર તે ત્યારે જ ભજવી શકે જ્યારે ફિલ્મની સ્ક્રિપ્ટ વિશે તેને સંપૂર્ણ વિશ્વાસ હોય.
આ પછી ફરહાને ‘ડૉન ૩’ની જાહેરાત કરી હતી અને તે સમયે શાહરુખ ‘ડંકી’નું શૂટિંગ કરી રહ્યો હતો. ૨૦૨૩માં ‘પઠાન’ અને ‘જવાન’ જેવી બ્લૉકબસ્ટર ફિલ્મોની સફળતા બાદ શાહરુખ એવા જ પ્રોજેક્ટ્સ સાથે જોડાવા માગતો હતો જે વિશ્વભરના દર્શકોને પસંદ પડે. આ કારણોસર શાહરુખ ‘ડૉન’ ફ્રૅન્ચાઇઝીની ફિલ્મ કરવા નહોતો ઇચ્છતો. એ સમયે શાહરુખે દલીલ કરી હતી કે જેમ્સ બૉન્ડના પાત્રમાં અલગ-અલગ અભિનેતાઓ જોવા મળી શકે તો પછી ‘ડૉન’ ફ્રૅન્ચાઇઝીમાં કેમ નહીં? આ પછી ફરહાને ૨૦૨૩માં રણવીરને લઈને ‘ડૉન ૩’ની જાહેરાત કરી હતી.