અર્જુન રામપાલનો ઇલાજ કરવા આવેલા ડૉક્ટરને આદિત્ય ધરે ચમકાવી દીધો ધુરંધર : ધ રિવેન્જમાં

26 March, 2026 09:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફિલ્મ સાથે જોડાયેલો એક ખાસ કિસ્સો સામે આવ્યો છે

અર્જુન રામપાલની સારવાર માટે આવેલા ડૉક્ટર સની અશોકને ફિલ્મમાં મળી ગયો રોલ

આદિત્ય ધરની ફિલ્મ ‘ધુરંધર : ધ રિવેન્જ’ સાથે જોડાયેલા અનેક રસપ્રદ કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. હવે ફિલ્મ સાથે જોડાયેલો એક ખાસ કિસ્સો સામે આવ્યો છે. ફિલ્મમાં એક ડૉક્ટર પણ જોવા મળ્યો છે અને ખાસ વાત એ છે કે તે રિયલ લાઇફ ડૉક્ટર છે જે અર્જુન રામપાલનો ઇલાજ કરી રહ્યો હતો, પણ ડિરેક્ટર આદિત્ય ધરે તેને ફિલ્મમાં ચમકાવી દીધો.

રિપોર્ટ અનુસાર ફિલ્મના શૂટિંગ સમયે એક ચેઝ-સીનના શૂટિંગમાં અર્જુન રામપાલને ઈજા થઈ ગઈ હતી. તેની સારવાર કરવા માટે લુધિયાણા પાસેના કલાખ નામના ગામમાં પ્રાઇમરી હેલ્થ સેન્ટરમાં ફરજ નિભાવી રહેલા ડૉક્ટર સની અશોકને બોલાવવામાં આવ્યો હતો. આ દરમ્યાન તેની મુલાકાત ફિલ્મના ડિરેક્ટર આદિત્ય ધર સાથે થઈ. ડૉક્ટરની પર્સનાલિટી અને પ્રેઝન્સથી પ્રભાવિત થઈને આદિત્ય ધરે તેને ફિલ્મમાં એક નાનો રોલ ઑફર કર્યો. ‘ધુરંધર : ધ રિવેન્જ’ના એક સીનમાં ઘાયલ રણવીર સિંહને પ્લેનમાંથી ઊતરતી વખતે એક ડૉક્ટરની જરૂર પડે છે અને આ રોલ કરવા માટે સની અશોકે તૈયારી બતાવી અને એક જ ટેકમાં સીન ઓકે કરીને આદિત્ય ધરને ખુશ કરી દીધો. આમ ફિલ્મના એક સીનમાં રિયલ ડૉક્ટર હમઝાની સારવાર કરતા જોવા મળ્યો અને તેની હાજરીએ ફિલ્મને વધુ રિયલિસ્ટિક ટચ આપ્યો.

dhurandhar arjun rampal aditya dhar entertainment news bollywood bollywood news ranveer singh