26 March, 2026 09:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અર્જુન રામપાલની સારવાર માટે આવેલા ડૉક્ટર સની અશોકને ફિલ્મમાં મળી ગયો રોલ
આદિત્ય ધરની ફિલ્મ ‘ધુરંધર : ધ રિવેન્જ’ સાથે જોડાયેલા અનેક રસપ્રદ કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. હવે ફિલ્મ સાથે જોડાયેલો એક ખાસ કિસ્સો સામે આવ્યો છે. ફિલ્મમાં એક ડૉક્ટર પણ જોવા મળ્યો છે અને ખાસ વાત એ છે કે તે રિયલ લાઇફ ડૉક્ટર છે જે અર્જુન રામપાલનો ઇલાજ કરી રહ્યો હતો, પણ ડિરેક્ટર આદિત્ય ધરે તેને ફિલ્મમાં ચમકાવી દીધો.
રિપોર્ટ અનુસાર ફિલ્મના શૂટિંગ સમયે એક ચેઝ-સીનના શૂટિંગમાં અર્જુન રામપાલને ઈજા થઈ ગઈ હતી. તેની સારવાર કરવા માટે લુધિયાણા પાસેના કલાખ નામના ગામમાં પ્રાઇમરી હેલ્થ સેન્ટરમાં ફરજ નિભાવી રહેલા ડૉક્ટર સની અશોકને બોલાવવામાં આવ્યો હતો. આ દરમ્યાન તેની મુલાકાત ફિલ્મના ડિરેક્ટર આદિત્ય ધર સાથે થઈ. ડૉક્ટરની પર્સનાલિટી અને પ્રેઝન્સથી પ્રભાવિત થઈને આદિત્ય ધરે તેને ફિલ્મમાં એક નાનો રોલ ઑફર કર્યો. ‘ધુરંધર : ધ રિવેન્જ’ના એક સીનમાં ઘાયલ રણવીર સિંહને પ્લેનમાંથી ઊતરતી વખતે એક ડૉક્ટરની જરૂર પડે છે અને આ રોલ કરવા માટે સની અશોકે તૈયારી બતાવી અને એક જ ટેકમાં સીન ઓકે કરીને આદિત્ય ધરને ખુશ કરી દીધો. આમ ફિલ્મના એક સીનમાં રિયલ ડૉક્ટર હમઝાની સારવાર કરતા જોવા મળ્યો અને તેની હાજરીએ ફિલ્મને વધુ રિયલિસ્ટિક ટચ આપ્યો.