09 February, 2026 01:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુનીલ શેટ્ટી
આદિત્ય ધર દિગ્દર્શિત ફિલ્મ ‘ધુરંધર’ની સીક્વલ ‘ધુરંધર : ધ રિવેન્જ’ ૧૯ માર્ચે થિયેટરમાં રિલીઝ થવાની છે ત્યારે સુનીલ શેટ્ટીએ હાલમાં ‘ધુરંધર’નાં જાહેરમાં વખાણ કરીને પોતાની દિલની લાગણી વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘કાશ, હું પણ આ ફિલ્મનો ભાગ હોત.’
આ પછી સુનીલે ખુલાસો કર્યો કે તે ભૂતકાળમાં આદિત્ય ધરની માઇથોલૉજિકલ-સુપરહીરો ફિલ્મ ‘ધ ઇમોર્ટલ અશ્વત્થામા’માં કામ કરવા જઈ રહ્યો હતો, પરંતુ આ પ્રોજેક્ટ બાદમાં બંધ થઈ ગયો અને તેને આ વાતનો ભારોભાર અફસોસ છે.
ફિલ્મના અભિનય વિશે વાત કરતાં સુનીલ શેટ્ટીએ કહ્યું હતું કે ‘પર્ફોર્મન્સને લઈને દરેક દર્શકનો દૃષ્ટિકોણ અલગ હોય છે. ઘણા લોકોએ અક્ષય ખન્નાના અભિનયને પસંદ કર્યો, પરંતુ મારા મતે રણવીર સિંહ વધુ અસરકારક છે.’
સુનીલે વધુમાં કહ્યું હતું કે ‘બધાને લાગ્યું કે અક્ષય ખન્નાએ શ્રેષ્ઠ કામ કર્યું છે, પરંતુ મને લાગે છે કે રણવીર વધુ સારો હતો. અક્ષયના પાત્રને લાર્જર-ધૅન-લાઇફ રીતે રજૂ કરવામાં આવ્યું હતું. તેની પાસે બૅકગ્રાઉન્ડ સ્ટોરી હતી અને બધું તેની તરફેણમાં હતું. જ્યારે રણવીર પાસે એવું કંઈ નહોતું છતાં પણ તે સ્ક્રીન પર ચમકે છે. તેણે પોતાના ફિઝિકલ સ્ટ્રક્ચર, લુક અને ખાસ કરીને આંખો દ્વારા પાત્રને જીવંત બનાવ્યું.’