27 May, 2020 08:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શ્રેયસ તળપદેએ હાલમાં લૉકડાઉનને જોતાં જે થિયેટર આર્ટિસ્ટ્સ ઘરે બેઠા છે તેમને માટે એક કારગત ઉપાય શોધી કાઢ્યો છે. તેના કહ્યા મુજબ થિયેટરમાં તમામ સુરક્ષાના નિયમોનું પાલન કરીને નાટકનું શૂટિંગ કરીને એને ડિજિટલ પ્લૅટફૉર્મ પર રિલીઝ કરવામાં આવે, જેનાથી સોશ્યલ ડિસ્ટન્સિંગ પણ જળવાઈ રહેશે અને કલાકારો માટે આવકનું માધ્યમ પણ ઊંભું થશે. આ વિશે વિસ્તારમાં જણાવતાં શ્રેયસે કહ્યું કે ‘એપ્રિલના અંતમાં થિયેટર મંડળ મારી પાસે આ આઇડિયા લઈને આવ્યુ હતું. એ વખતે લૉકડાઉનને પણ એક મહિનો થવા આવ્યો હતો. બધા એ જ વિચારી રહ્યા હતા કે ટકી રહેવા માટે શું કરવું જોઈએ. મને એવું લાગ્યું કે આ તો એક તક છે કે થિયેટર્સ બંધ છે અને કોઈને પણ અંદર જવાની મંજૂરી નથી. માત્ર ૧૫થી ૨૦ લોકો જઈ શકે છે. આપણે કોઈ એક થિયેટરને ભાડા પર લઈએ, એની સાફસફાઈ કરાવીએ અને તમામ નિયમોનું પાલન કરતાં મલ્ટિ કૅમેરા સેટઅપ લઈને જઈએ. ઍક્ટર્સ પર્ફોર્મ કરતા હોય ત્યારે એનું શૂટિંગ કરીએ, ઑનલાઇન અને ઑફલાઇન એડિટ કરીએ. ફાઇનલ એડિટ કર્યા બાદ એને ઑનલાઇન નૉર્મલ શોની જેમ પ્રોજેક્ટ કરીએ. આ થિયેટરના શો જેવું જ હશે. ખાસ કરીને મુંબઈમાં બપોરે અથવા તો સાંજે. ઠીક એ રીતે જેમ લોકો થિયેટર્સમાં જાય છે. જો લોકો થિયેટર્સમાં નથી જઈ શકતા તો આપણે લોકો પાસે થિયેટર્સ લઈ જઈએ.’