17 July, 2025 07:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રણવીર સિંહ અને દિગ્દર્શક સંજય લીલા ભણસાલી
બૉલીવુડમાં ચર્ચા છે કે રણવીર સિંહ અને દિગ્દર્શક સંજય લીલા ભણસાલી વચ્ચે ભારે મતભેદ પ્રવર્તી રહ્યો છે. આ બન્નેએ ‘ગોલિયોં કી રાસલીલા : રામલીલા’, ‘બાજીરાવ મસ્તાની’ અને ‘પદ્માવત’ જેવી સુપરહિટ ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. જોકે હવે તેમની વચ્ચે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ ‘લવ ઍન્ડ વૉર’ના કાસ્ટિંગને કારણે સમસ્યા સર્જાઈ છે.
રિપોર્ટ પ્રમાણે રણવીર આ ફિલ્મમાં લીડ રોલ કરવા ઇચ્છતો હતો, પણ સંજય લીલા ભણસાલીએ લીડ રોલ માટે રણબીર કપૂરને સાઇન કરીને રણવીરને સેકન્ડ લીડ રોલ ઑફર કર્યો જેના માટે તેણે ના પાડી દીધી. આખરે રણવીરના રોલ માટે વિકી કૌશલને સાઇન કરી લેવામાં આવ્યો. આ ઘટનાએ તેમના સંબંધોમાં તિરાડ પેદા કરી. હાલમાં રણવીરની ૪૦મી વર્ષગાંઠે પ્રાઇવેટ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં સંજય લીલા ભણસાલીને આમંત્રણ આપવામાં આવ્યું નહોતું જેના કારણે આ વિવાદની ચર્ચાને વધુ વેગ મળ્યો છે.
‘લવ ઍન્ડ વૉર’ એ સંજય લીલા ભણસાલીનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે, જેમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલ મુખ્ય ભૂમિકાઓમાં છે. આ ફિલ્મનું શૂટિંગ નવેમ્બર ૨૦૨૪માં શરૂ થઈ ગયું હતું અને અત્યાર સુધીમાં લગભગ
પચાસ ટકા શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. આ ફિલ્મ ૨૦૨૬ના માર્ચમાં રિલીઝ થવાની અપેક્ષા છે.