26 October, 2020 01:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હંસલ મેહતા અને મનોજ બાજપાઈ
હંસલ મેહતાએ જણાવ્યું છે કે ‘દિલ પે મત લે યાર’ના શૂટિંગ દરમ્યાન મનોજ બાજપાઈ સાથે વિવાદ થતાં લગભગ 6 વર્ષ સુધી બન્ને વચ્ચે વાતચીતનો સંબંધ નહોતો. 2000માં આ ફિલ્મ આવી હતી. ૬ વર્ષ બાદ જ્યારે બન્ને વચ્ચે સંબંધો સુધર્યા તો તેમણે ૨૦૦૭માં આવેલી ‘દસ કહાનિયાં’માં કામ કર્યું હતું. જો આ બન્ને વચ્ચે હજી સુધી અબોલા રહ્યા હોત તો આપણને ‘અલીગઢ’ જેવી શાનદાર ફિલ્મ ન જોવા મળી હોત. એ વિશે વિસ્તારમાં જણાવતાં હંસલ મેહતાએ કહ્યું હતું કે ‘હું વધુ સમય સુધી સખત દિલ નથી રાખી શકતો, કારણ કે હું હંમેશાં સમાધાનનાં દ્વાર ખુલ્લાં રાખું છું. તમને એ જાણ નથી હોતી કે તમે કોને ક્યારે મળશો. મનોજ અને મેં ‘દિલ પે મત લે યાર’માં 20 વર્ષ પહેલાં સાથે કામ કર્યું હતું. તે મારો બેસ્ટ ફ્રેન્ડ હતો, પરંતુ શૂટિંગ દરમ્યાન અમારી વચ્ચે ઝઘડો થયો હતો. ૬ વર્ષ સુધી અમે એકબીજાની સાથે વાત નહોતી કરી. અમે બાજુમાંથી પસાર થઈ જતા હતા અને એવો ડોળ કરતા હતા કે એકબીજાને જોયા જ નથી. જોકે બાદમાં અમે સંજય ગુપ્તાની ફિલ્મ ‘દસ કહાનિયાં’ માટે મળ્યા હતા. મારે મનોજ સાથે પ્રોફેશનલી વાત કરવાની હતી. ત્યાર બાદ અમે ડ્રિન્ક કરવા ગયા હતા જ્યાં હું અને મનોજ એકબીજાની સામે બેઠા હતા. એ વખતે અમને ખ્યાલ આવ્યો કે કેમ આટલાં વર્ષોથી અમે એકબીજાની સાથે વાત નહોતી કરી. એ છ વર્ષ તો હું ખૂબ કઠોર રહ્યો હતો. ત્યાર બાદ તો મને હંમેશાં એમ જ લાગતું હતું કે એ નાહકની લડાઈ હતી.’