14 January, 2021 02:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સતિશ કૌશિક
ફિલ્મમેકર સતીશ કૌશિકનું માનવું છે કે હાલમાં સિનેમામાં કૉમન મૅન જ હીરો ગણાય છે. તેમણે બનાવેલી ‘કાગઝ’ એક કટાક્ષથી ભરેલી કૉમેડી ફિલ્મ છે. આ ફિલ્મ આપણા દેશમાં ઘટેલી એક વાસ્તવિક ઘટના પર આધારિત છે જેમાં દેખાડવામાં આવ્યું છે કે કઈ રીતે એક વ્યક્તિને પોતે જીવિત છે એ સાબિત કરવા માટે 18 વર્ષની લડત લડવી પડી હતી. વાર્તા આખી લાલ બિહારી મરનારની આસપાસ ફરે છે. જેને રેકાર્ડ્સમાં મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ પાત્રને પંકજ ત્રિપાઠીએ ભજવ્યું છે. હીરો વિશે સતીશ કૌશિકે કહ્યું હતું કે ‘પહેલાં તો ઍક્શન-રોમૅન્ટિક પાત્ર ભજવનારા હીરો ગણવામાં આવતા હતા. આજે સિનેમામાં કૉમન મૅન જ હીરો છે. જો આપણે તેમના મુદ્દાઓ, તેમની સફળતા અને નિષ્ફળતા પર પ્રકાશ પાડીએ તો એ લોકો સાથે સારી રીતે કનેક્ટ થાય છે.’
પંકજ ત્રિપાઠીની પ્રશંસા કરતાં સતીશ કૌશિકે કહ્યું હતું કે ‘તેણે કામ ભલે ઓછું કર્યું હોય પરંતુ લોકો પર એની અસર ખૂબ થઈ છે. મારી ઇચ્છા હતી કે હું તેને આ મનોરંજક ફિલ્મમાં એક હીરો તરીકે રજૂ કરું. આપણી પાસે એક સામાન્ય માણસના રૂપમાં એક નવો હીરો છે, જે છે પંકજ ત્રિપાઠી.’