24 June, 2020 05:15 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મૃણાલિની ત્યાગી, સુશાંત સિંહ રાજપુત બૉલીવુડના બાદશાહ ખાન સાથે (તસવીર સૌજન્ય: સોશ્યલ મીડિયા)
અભિનેતા સુશાંત સિંહ રાજપુતને જેટલા લોકો નજીકથી ઓળખતા હતા તે બધા જ કહે છે કે, તે બહુ જ વિન્રમ અને મહત્વકાંક્ષી હતો. કોઈને પણ વિશ્વાસ જ નથી થતો કે જે વ્યક્તિ પોતાના સપનાઓની યાદી બનાવતો અને તેને એક પછી એક પુરા કરવા માંગતો હતો તે જ વ્યક્તિ આમ જીવન અધુરું મુકીને જતો રહેશે.
સુશાંત સિંહ રાજપુતના સપનાઓની યાદીમાં એક સપનું એ પણ હતું કે, તે બૉલીવુડના બાદશાહ ખાન શાહરૂખ ખાનના 'મન્નત' જેવો બંગલો બનાવવો. સુશાંતની સાથે ટીવી સિરિયલ 'પવિત્ર રિશ્તા'માં કામ કરનાર અભિનેત્રી મૃણાલિનીએ એક ઈન્ટરવ્યુમાં સુશાંતના આ સપના વિશે કહ્યું હતું. મૃણાલિની અને સુશાંતનો ભલે સિરિયલમાં કોઈ સીન સાથે નહોતો પરંતુ બન્ને વચ્ચે દોસ્તી બહુ ગાઢ હતી. મૃણાલિની સુશાંતની ભુતપુર્વ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેની બેસ્ટ ફ્રેન્ડ હતી, એટલે પણ તે સુશાંતને સારી રીતે ઓળખતી.
મૃણાલિનીએ ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, સુશાંતના સપનાઓ બહુ મોટા હતા. એ બહુ જ મહેનતુ હતો. તે હંમેશા મને કહેતો કે આપણી પાસે ઈન્ડસ્ટ્રીમાં એક SRK છે અને બીજો SRS થશે. શાહરૂખનો તે બહુ મોટો ફૅન હતો અને દિલથી તેને પ્રેમ કરતો. સુશાંત શાહરૂખની પુજા કરતો હતો. તે પોતાને એસએસઆર કહેતો અને શાહરૂખનો સિગ્નેચર પોઝ પણ કરતો. સુશાંત હંમેશા કહેતો કે હું નેકસ્ટ બાદશાહ બનવા માંગુ છું. તે પોતાનો 'મન્નત' બંગલો બનાવવા માંગતો હતો. તે મોટા સપના જોનાર વ્યક્તિ હતો. એટલે વિશ્વાસ જ નથી થતો કે તે આત્મહત્યા કરી શકે. સુશાંત દરેક વાતમાં શાહરૂખની નકલ કરતો, પરંતુ એક્ટિંગમાં નહીં. તે તેના પગલે ચાલવા માંગતો હતો.
વધુમાં મૃણાલિનીએ જણાવ્યું હતું કે, સુશાંત બૉલીવુડ કારર્કિદીમાં વ્યસ્ત થયો પછી તેમનું કનેક્શન ઓછું થઈ ગયું હતું. પરંતુ એકાદ વર્ષ પહેલા મેસેજમાં વાત થઈ ત્યારે બન્નેએ મળવાનો પ્લાન બનાવ્યો હતો. પણ પછી બન્ને વ્યસ્ત થઈ ગયા એટલે મળી શકાયું નહોતું.
સુશાંત સિંહ રાજપુતે 14 જૂનના રોજ બાંદ્રા સ્થિત ફ્લેટમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. આ કેસની અત્યારે પોલીસ તપાસ ચાલી રહી છે.