10 September, 2020 06:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કંગના રનોટ
સિનેમૅટોગ્રાફર પી. સી. શ્રીરામે જણાવ્યું હતું કે તેણે કંગના રનોટને કારણે એક ફિલ્મ છોડી દીધી છે. આ વાત જાણમાં આવતાં કંગનાએ રિપ્લાય આપ્યો કે આ મારા માટે મોટું નુકસાન છે. જોકે એ ફિલ્મ કઈ હતી એ જાણવા નથી મળ્યું. એ વિશે ટ્વિટર પર પી. સી. શ્રીરામે ટ્વીટ કર્યું હતું કે ‘મારે એક ફિલ્મ રિજેક્ટ કરવી પડી હતી, કારણ કે એમાં કંગના લીડ રોલમાં હતી. મને અંદરથી કંઈ ઠીક નહોતું લાગી રહ્યું. મેં મેકર્સ સામે મારો પક્ષ માંડ્યો અને તેઓ સમજી પણ ગયા હતા. ક્યારેક એ પણ જરૂરી બની જાય છે કે તમને શું ઠીક લાગે છે. સૌને શુભેચ્છા.’
આ ટ્વીટનો રિપ્લાય આપતાં કંગનાએ ટ્વીટ કર્યું હતું કે ‘મેં લેજન્ડ સાથે કામ કરવાની તક ગુમાવી દીધી હતી. આ પૂરી રીતે તો મારું જ નુકસાન છે. મને એ જાણ નથી કે તમને મારા વિશે શું ઠીક નહોતું લાગતું. જોકે હું ખુશ છું કે તમે તમારા મનનું સાંભળ્યું. તમને શુભકામના.’