24 December, 2020 04:53 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે માહિતી આપી છે કે ફિલ્મોના વિકાસ કરવા માટે કેન્દ્ર સરકારે ફિલ્મની અમુક મોટી સંસ્થાઓના વિલયની પરવાનગી આપી દીધી છે. જોકે આ સંસ્થાઓ પહેલાંની જેમ જ કામ કરતી રહેશે. આ નિર્ણય કેન્દ્રીય કૅબિનેટમાં લેવામાં આવ્યો છે. એ વિશેનો એક વિડિયો તેમણે ટ્વિટર પર શૅર કર્યો છે. વિડિયોમાં તેઓ કહી રહ્યા છે કે આ વિલયથી ફિલ્મ જગતને લાભ થશે. આ વિલય હેઠળ મૂળભૂત માળખું, માનવ સંસાધન અને અન્ય સંસાધનોનો વિકાસ કરવા માટે ફિલ્મનાં એકમના વિલયની મંજૂરી આપી દીધી છે. એ વિડિયો ક્લિપને ટ્વિટર પર શૅર કરીને પ્રકાશ જાવડેકરે ટ્વીટ કર્યું હતું કે ‘હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીના એ વચનનો આભારી છું કે તેઓ ભારતીય ફિલ્મ ક્ષેત્રને સપોર્ટ આપવા માટે કટિબદ્ધ છે. હવેથી ફિલ્મ્સ ડિવિઝન, એનએફડીસી ઇન્ડિયા, સીએફએસ ઇન્ડિયા, ડીએફએફ ઇન્ડિયા અને એનએફએઆઇ ઑફિશ્યલનો એક સંસ્થામાં વિલય કરીને રાષ્ટ્રીય ફિલ્મ વિકાસ નિગમ બનાવવાની મંજૂરી આપી દીધી છે જે ઇન્ડસ્ટ્રીમાં સહકારિતા અને કાર્યક્ષમતા વધારવા પર ધ્યાન આપશે. સાથે જ ભારતીય સિનેમાને વધુ ઊંચાઈ પર લઈ જશે.’