19 August, 2020 02:56 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સુશાંત સિંહ રાજપૂત
અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) આત્મહત્યા કેસમાં સહુ કોઈ છેલ્લા બે મહિનાથી જે નિર્ણયની રાહ જોઈ રહ્યાં હતાં તે નિર્ણય આખરે બુધવારે આવી ગયો છે. બુધવારે સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપ્યો છે કે, સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસની તપાસ હવે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) કરશે. આ નિર્ણયને ચારે બાજુથી વધાવવામાં આવી રહ્યો છે. ત્યારે કેટલાંક રાજનેતાઓએ પણ સુપ્રીમ કોર્ટના ચુકાદાની પ્રશંસા કરી છે અને સોશ્યલ મીડિયા પર તેમની પ્રતિક્રિયાઓ આપી છે. સુબ્રમણ્યમ સ્વામી (Subramanian Swamy), સંજય (રાઉત Sanjay Raut), સંબિત પાત્રા (Sambit Patra) સહુએ સીબીઆઈ પર વિશ્વાસ મૂક્યો છે અને આશા વ્યક્ત કરી છે કે, સુશાંત સિંહ રાજપૂતને ન્યાય મળશે.
રાજ્યસભાના સાંસદ અને પૂર્વ કેબિનેટ મંત્રી સુબ્રમણ્યમ સ્વામી પહેલેથી જ સુશાંત સિંહ રાજપૂતના કેસમાં સીબીઆઈ તપાસની તરફેણમાં હતાં. તેમણે ટ્વીટ કર્યું હતું કે, સીબીઆઈ જય હો.
શિવસેનાના નેતા સંજય રાઉતે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે અને તેના રાજકીય ટિપ્પણી કરવી યોગ્ય નથી. આપણા રાજ્યની ન્યાય પ્રણાલી હંમેશા દેશની સર્વશ્રેષ્ઠ રહી છે, અહીં કોઈ પણ કાયદાથી ઉપર નથી અને બધાને ન્યાય અપાવવો એ એક ધોરણ છે.
ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ ટ્વીટ કર્યું હતું કે, 'SHIV SENA= SONIA + RHEA = SORHEA SENA (સોરિયા સેના એટલે એવી સેના જે સુતી હતી).'
એનસીપીના પ્રમુખ શરદ પવારના પૌત્ર પાર્થ પવારે સુપ્રીમના નિર્ણયને આવકારતાં ટ્વીટ કર્યું હતું કે, સત્મેવ જયતે.
લોક જનશક્તિ પાર્ટીના વડાએ ટ્વીટ કર્યું હતું કે, સુપ્રીમ કોર્ટના નિર્ણયનું હું સ્વાગત કરું છું. સીબીઆઈ તપાસ કરે તેવી માંગણી બધાની હતી. હવે સુપ્રીમ કોર્ટે સીબીઆઈ તપાસનો નિર્ણય આપ્યો છે તો આ જીત સુશાંત સિંહ રાજપૂતના કરોડો પ્રશંસકોની સાથે તેમના પિતા અને પરિવારની છે. મને વિશ્વાસ છે કે હવે સીબીઆઈ જલ્દી બધા પાસાની તપાસ કરશે.
આરજેડીના નેતા તેજસ્વી યાદવે કહ્યું હતું કે, આ કેસમાં સીબીઆઈ તપાસની ભલામણ કરતા સુપ્રીમ કોર્ટના ચુકાદાને હું આવકારું છું. આ ન્યાયની જીત છે. 30મી જૂને અમે સીબીઆઈ તપાસની માંગ કરી હતી. પરંતુ, બિહાર સરકારે 42 દિવસનો સમય લઈ લીધો.
આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટનો આદેશ: સુશાંત સિંહ રાજપૂતના કેસની તપાસ CBI કરશે
34 વર્ષીય સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ બાંદ્રા સ્થિત ફ્લેટમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. અભિનેતા છ મહિનાથી ડિપ્રેશનમાં હતો અને તેની સારવાર ચાલી રહી હતી. સુશાંત પાસેથી કોઈ સ્યુસાઈડ નોટ નથી મળી. મુંબઈ પોલીસ ત્યારથી આ કેસની દરેક જુદા જુદા પાસાથી તપાસ કરી રહી હતી.
આ પણ વાંચો: CBI For SSR: સુપ્રીમ કોર્ટના ચુકાદાથી ખુશ છે બૉલીવુડ સેલેબ્ઝ
સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે આપેલા સીબીઆઈ તપાસના આદેશથી સહુ કોઈ બહુ જ ખુશખુશાલ છે અને હવે સત્ય બહાર આવે તેની રાહ જોઈ રહ્યાં છે.