Brijesh Tripathi Death: ભોજપુરી સિનેમાના દિગ્ગજ અભિનેતાનું ડેન્ગ્યુ બાદ હાર્ટ એટેકથી નિધન 

18 December, 2023 12:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ભોજપુરી સિનેમાના દિગ્ગજ અભિનેતા બ્રિજેશ ત્રિપાઠીનું નિધન થયું છે. ડેન્ગ્યુ હોવાથી તેમની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી હતી. હજી તો ડેન્ગુયમાંથી સાજા ન થયા ત્યાં હાર્ટ એટેક આવ્યો.

પ્રતીકાત્મક તસવીર

Brijesh Tripathi Death: ભોજપુરી સિનેમાના દિગ્ગજ અભિનેતા બ્રિજેશ ત્રિપાઠીનું નિધન થયું છે. હાર્ટ એટેકના કારણે અભિનેતાનું અવસાન થયું છે. અહેવાલો અનુસાર, બ્રિજેશ ત્રિપાઠીને બે અઠવાડિયા પહેલા ડેન્ગ્યુ થયો હતો, જેના માટે તેમને મેરઠની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અભિનેતાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.

હોસ્પિટલ પહોંચે તે પહેલા જ મોત થયું

હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ અભિનેતાને મુંબઈ લાવવામાં આવ્યા હતા, પરંતુ ગઈકાલે રાત્રે તેને હાર્ટ એટેક આવ્યો અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. હોસ્પિટલમાં લઈ જતી વખતે અભિનેતાનું મોત નીપજ્યું હતું. હોસ્પિટલ પહોંચતા જ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. અભિનેતાનો પરિવાર મુંબઈમાં રહેતો હતો.

આજે અંતિમ સંસ્કાર થશે

અભિનેતાના નિધનના સમાચાર બાદ ભોજપુરી ઈન્ડસ્ટ્રીમાં શોકનું વાતાવરણ છે. બ્રિજેશ ત્રિપાઠીના અંતિમ સંસ્કાર આજે, સોમવાર, 18 ડિસેમ્બરે કરવામાં આવશે. તેઓ 46 વર્ષથી વધુ સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હતા. તેમણે 1979માં ફિલ્મ `સૈયા તોહરે કારન`થી ડેબ્યૂ કર્યું હતું. તેમની પ્રથમ હિન્દી ફિલ્મ 1980માં આવેલી `ટેક્સી ચોર` હતી. ભોજપુરી ઇન્ડસ્ટ્રીમાં આવતા પહેલા તે બોલિવૂડનો હિસ્સો હતો. તે ઘણી ટીવી સિરિયલોનો પણ ભાગ રહી ચુક્યા છે. બ્રિજેશ ત્રિપાઠી `નો એન્ટ્રી`, `ઓમ`, `ગુપ્તાઃ ધ હિડન ટ્રુથ`, `મોહરા`, `દેવરા ભઈલ દિવાના`, `હમાર બોડીગાર્ડ શિવા`, `ડ્રાઈવર રાજા`, `પિયા ચાંદની`, `રામ કૃષ્ણ બજરંગી` અને `જનતા દરબાર` સહિત અન્ય ફિલ્મોમાં કામ કર્યુ છે. 

રવિ કિશને દુઃખ વ્યક્ત કર્યું

બ્રિજેશ ત્રિપાઠીએ અજય દેવગન, અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, સલમાન ખાન, રજનીકાંત, ધર્મેન્દ્ર અને વિનોદ ખન્ના સાથે સ્ક્રીન સ્પેસ શેર કરી હતી. તેમણે બૉલિવૂડમાં 250 થી વધુ ફિલ્મો કરી. તેમણે મનોજ તિવારી, રવિ કિશન, દિનેશ લાલ યાદવ, પવન સિંહ અને ખેસારી લાલ યાદવ સહિત ભોજપુરી ફિલ્મોમાં ઘણા લોકો સાથે કામ કર્યું હતું. ફિલ્મ અભિનેતા અને ગોરખપુરના સાંસદ રવિ કિશને તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેણે કહ્યું, `અમે બ્રિજેશ ત્રિપાઠીજી સાથે લગભગ 100 ફિલ્મો કરી છે, તેમની વિદાય એ ભોજપુરી ફિલ્મ ઉદ્યોગમાંથી એક યુગની વિદાય છે. ભગવાન તેમના પુણ્યશાળી આત્માને સ્વર્ગમાં સર્વોચ્ચ સન્માનથી શણગારે.

celebrity death entertainment news Regional Cinema News bollywood news bollywood