06 April, 2020 12:59 PM IST | Lucknow | Gujarati Mid-Day Online Correspondent
કનિકા કપૂર.
કનિકા કપૂર જે કોરોનાવાઇરસનો ભોગ બની હતી તેને અંતે રજા મળી ગઇ છે અને તેને ઘરે મોકલવામાં આવી છે જો કે તે હાલમાં કોઇને મળી નહીં શકે. હજી 14 દિવસ સુધી આ સિંગર એક્ટરે ક્વોરેન્ટિન કરીને જ ઘરમાં રહેવું પડશે. તે કોરોનાના જોખમી તબક્કાની બહાર છે. કનિકા કપૂરનાં ટેસ્ટ કોઇપણ અન્ય કોરોનાવાઇરસ પૉઝિટીવ દર્દીની માફક 48 કલાકે કરવામાં આવતા હતા. શરૂઆતમાં તો ટેસ્ટ પૉઝિટીવ આવ્યા કરતા હતા અને પાંચમો ટેસ્ટ પૉઝિટીવ આવતા લોકોને ભારે ચિંતા થઇ હતી. કનિકાએ ઇમોશનલ પોસ્ટ પણ શેર કરી હતી જો કે અંતે તેની તબિયત સુધરતા અને સળંગ બીજો ટેસ્ટ નેગેટિવ આવતા તેને હૉસ્પિટલમાંથી રજા અપાઇ હતી. કોરોના પૉઝિટીવનો ભોગ બનનારી કનિકા બૉલીવુડની પહેલી સેલેબ છે જે આ વાઇરસની ઝપેટમાં આવી ગઇ હતી. જો કે કનિકાને ઘરે પહોંચીને શાંતિ નહીં હોય કારણકે તેની સામે પોતાની ટ્રાવેલ હિસ્ટ્રી છુપાવવાની ફરિયાદ નોંધાઇ છે અને અવગણના કરીને લોકો સાથે પાર્ટી કરી હોવાની બેદરકારી પણ આ ફરિયાદનો હિસ્સો છે.