22 August, 2020 05:50 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કૈલાશ ખેર
રૅપર-સિંગર બાદશાહે ખરીદેલા નકલી ફૉલોઅર્સ પર પ્રહાર કરતાં કૈલાશ ખેરે જણાવ્યું હતું કે ૭૨ લાખ રૂપિયામાં બનાવટી ફૉલોઅર્સ ખરીદવાને બદલે બાળકોને શિક્ષિત કરી શકાયા હોત. આ વિશે કૈલાશ ખેરે કહ્યું હતું કે ‘આપણે એવી સોસાયટીમાં રહીએ છીએ કે જ્યાં અસમાનતા જોવા મળે છે. એક તરફ અમુક લોકો એવા છે જેમની પાસે ખોટી પ્રસિદ્ધિ ખરીદવા માટેના પૈસા છે. બીજી તરફ રસ્તા પર રહેતાં બાળકો ભોજન અને શિક્ષણથી વંચિત છે. કોઈ પણ ખરો કલાકાર હોય તો તે સમાજના કલ્યાણ માટે પોતાની પૉપ્યુલારિટી, પૈસા અને પોતાની સેલિબ્રિટી સ્ટેટસનો ઉપયોગ કરે. ૭૨ લાખ રૂપિયાનો ઉપયોગ શિક્ષણથી વંચિત બાળકોના શિક્ષણ માટે કરી શકાયો હોત. મને પણ અનેક બિઝનેસ માઇન્ડેડ લોકો મારી જાતની માર્કેટ કરવા માટે સલાહ આપતા હતા અને પીઆર માટે પૈસા ચૂકવવાનું કહેતા હતા. હું જ્યારે લાઇવ શોઝ કરું છું તો લોકો પણ મારી સાથે ગીત ગાય છે. એ મારા માટે સૌથી મોટી વસ્તુ છે. આપણે સૌકોઈ જાણીએ છીએ કે સંગીતકારોનો એક વર્ગ ખરાબ, ડબલ મીનિંગ લિરિક્સ અને વિડિયોઝનું વેચાણ કરે છે. તેઓ યુવાઓમાં ખાસ્સા ફેમસ છે. દુર્ભાગ્યવશ એ લોકો યુવાઓને ખોટી દિશામાં લઈ જઈ રહ્યા છે.’