30 September, 2020 05:20 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સ્વરા ભાસ્કર, અનુભવ સિંહા, રિચા ચઢ્ઢા
અયોધ્યામાં એક બાજુ રામમંદિર નિર્માણ શરૂ થઈ ગયું છે, જ્યારે બીજી બાજુ આજે બાબરી વિધ્વંસ કેસનો આજે ચુકાદો આવ્યો છે. જેમાં તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. આ ચુકાદા પર બોલિવૂડ સેલેબ્સે આશ્ચર્ય પ્રગટ કર્યું છે. સ્વરા ભાસ્કર (Swara Bhasker), રિચા ચઢ્ઢા (Richa Chadha), ઝીશાન અયૂબ (Zeeshan Ayyub), ગૌહર ખાન (Gauahar Khan) અને ફિલ્મમેકર અનુભવ સિંહા (Anubhav Sinha)એ આ કેસમાં પ્રતિક્રિયા આપી હતી અને કોર્ટના નિર્ણય અંગે નિશાન સાધ્યું છે.
ફિલ્મમેકર અનુભવ સિંહાએ ટ્વીટ કર્યું છે કે, 'શ્રી લાલ કૃષ્ણ અડવાણીને શુભેચ્છા. જ્યારે તમે આ દેશની આત્મા પર એકલા જ એક લાંબી લોહીની રેખા ખેંચીને આરોપોથી મુક્ત થઈ ગયા. ભગવાન તમને લાંબી ઉંમર આપે.'
સ્વરા ભાસ્કરે ટ્વીટ કર્યું છે કે, 'બાબરી મસ્જિદ જાતે જ પડી ગઈ હતી.'
જ્યારે રિચા ચઢ્ઢાએ ટ્વીટ કર્યું છે કે, 'આ જગ્યાથી પણ ઉપર એક અદાલત છે. ત્યાં દેર હૈ અંધેર નહીં.'
ગૌહર ખાને ટ્વીટ કર્યું છે કે, 'નિશ્ચિત રીતે જ તેનું કારણ એક ભૂકંપ હતું. હાહાહા...આ આપણાં પર કરવામાં આવેલી મજાક છે.'
ઝીશાન અયૂબે ટ્વીટ કર્યું છે કે, '18 વર્ષ સુધી જે મુદ્દાને હથિયાર બનાવવામાં આવ્યો, મતો વહેંચવામાં આવ્યા, દેશને તોડી નાખવામાં આવ્યો, જે હિંસાને આ લોકોએ દેશમાં ફેલાવી...તેમાંથી નિર્દોષ છૂટી ગયા? વાહ રે મારા દેશ...'
આ પણ વાંચો: બાબરી વિધ્વંસ કેસ: લખનઉ CBI કોર્ટે તમામ 32 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા
તમને જણાવી દઈએ કે, અયોધ્યામાં બાબરી મસ્જિદનો ભાગ 6 ડિસેમ્બર, 1992ના રોજ તોડી પાડવામાં આવ્યો હતો. આ કેસમાં 28 વર્ષ બાદ કોર્ટે આજે ચુકાદો આપ્યો હતો. આ કેસમાં લખનઉની CBIની વિશેષ કોર્ટે તમામે તમામ 32 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. કોર્ટે કહ્યું હતું કે, બાબરી મસ્જિદ તોડવા માટે કોઈ ષડયંત્ર રચવામાં આવ્યું નહોતું અને કારસેવકોને કોઈ નેતાએ ઉશ્કેર્યા નહોતા.