13 November, 2025 11:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અર્જુન કપૂર
અર્જુન કપૂરે હાલમાં ફેડરેશન ઑફ ઇન્ડિયન ચેમ્બર્સ ઑફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રી (FICCI)ની યંગ લીડર્સ સમિટ દરમ્યાન પોતાની માનસિક સ્વાસ્થ્યની સફર, સ્થૂળતા સાથેના સંઘર્ષ અને અચાનક મળેલી પ્રસિદ્ધિના ભાવનાત્મક પ્રભાવ વિશે ખુલ્લેઆમ વાત કરી હતી. અર્જુને માનસિક રીતે મજબૂત બનવા માટે થેરપી લેવાની જરૂર પડે તો શરમમાં પડ્યા વગર એ લેવા માટે ભાર મૂકતાં યુવાનોને વિનંતી કરી છે કે તેમણે માનસિક સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવી જોઈએ.
અર્જુન કપૂરે પોતાના મુશ્કેલ સમય વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘મારા જીવનમાં પરિવર્તનની ક્ષણ કોરોના દરમ્યાન આવી હતી. કોરોનાએ મને સમજણ આપી હતી. મેં થેરપી શરૂ કરી, કારણ કે મને સમજાયું કે ૧૦ વર્ષથી મેં મારી જાતની કાળજી લીધી જ નહોતી. આપણે માનીએ છીએ કે સ્વસ્થ લોકોને મદદની જરૂર નથી, પરંતુ ક્યારેક સૌથી મજબૂત લોકો પણ અંદરથી તૂટી જાય છે. મારી મમ્મીનું ૨૦૧૨ના માર્ચમાં અવસાન થયું હતું એના ૪૫ દિવસ પછી મારી પહેલી ફિલ્મ ‘ઇશકઝાદે’ રિલીઝ થઈ હતી. એ સમય એકસાથે શોક અને ઉજવણીનો હતો. હું રાતોરાત સ્ટાર બની ગયો હતો, પણ હકીકતમાં હું દુઃખથી ભાગી રહ્યો હતો.’
પોતાના વજન ઘટાડવાના સંઘર્ષ વિશે વાત કરતાં અર્જુને કહ્યું હતું કે ‘સ્થૂળતા સાથેની લડત માત્ર શરીરની નહોતી. મને મારું વધારાનું ૫૦ કિલો વજન ઘટાડવામાં ૪ વર્ષ લાગ્યાં અને આ સફર માનસિક રીતે વધુ મુશ્કેલ હતી. એ સમયે મને મારી મમ્મીનો સાથ મળ્યો એ મારું નસીબ હતું. જોકે દરેકને એવો ભાવનાત્મક અથવા આર્થિક આધાર મળતો નથી. મમ્મીના અવસાન પછી મારી બહેન અંશુલાએ મને સમજાવ્યું હતું કે ભાવનાત્મક રીતે સ્વસ્થ થવું કેટલું જરૂરી છે.’