19 September, 2020 06:14 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રવિ કિશન, અનુરાગ કશ્યપ
અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની આત્મહત્યાની તપાસથી શરૂ થયેલો કેસ બૉલીવુડના ડ્રગ્સ એન્ગલ તરફ દોરી ગયો છે. ડ્રગ્સના મામલે અનેક ર્સ્ટાસ વચ્ચે બોલચાલ થઈ રહી છે. તે જ રીતે અભિનેતા રવિ કિશન (Ravi Kishan) અને ફિલ્મમેકર અનુરાગ કશ્યપ (Anurag Kashyap) વચ્ચે ડ્રગ્સના મુદ્દે સખથ ચર્ચા ચાલી રહી છે.
રવિ કિશને બૉલીવુડમાં ડ્રગ્સ કનેક્શનની તપાસની માગ કરી છે. જોકે, અનુરાગ કશ્યપે વળતો પ્રહાર કર્યો હતો અને દાવો કર્યો હતો કે રવિ વીડનું સેવન કરતો હતો. જોકે, તેણે આ અંગે ક્યારેય રવિ કિશનને જજ કર્યો નથી. રવિએ સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ કનેક્શન સાથે જોડાયેલ રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) સહિત અનેક લોકોની ધરપકડ બદલ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)ના વખાણ કર્યા હતા. રવિ કિશને દાવો કર્યો હતો કે, ભારતમાં ચીન તથા પાકિસ્તાનના માર્ગે ડ્રગ્સ આવે છે. આ સાથે જ ફિલ્મ ઈન્ડસ્ટ્રી ખરાબ રીતે પ્રભાવિત છે.
અનુરાગ કશ્યપે એક પત્રકાર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, 'રવિ કિશને મારી છેલ્લી ફિલ્મ 'મુક્કાબાઝ'માં કામ કર્યું હતું. તે જય શિવ શંકર, જય બમ બોલે, જય શિવ શંભુ બોલીને દિવસની શરૂઆત કરતો હતો. તેણે લાંબા સમય સુધી વીડનું સેવન કર્યું હતું. આ જીવન છે. આ અંગે બધાને ખબર છે. પૂરી દુનિયાને આ વાતની જાણ છે. એક પણ વ્યક્તિ એવી નહીં હોય, જેને ખબર ના હોય કે રવિ કિશન સ્મોકિંગ કરતો હતો. બની શકે કે હવે તેણે આ બધું છોડી દીધું હોય, કારણ કે તે મંત્રી બની ગયો છે. બની શકે કે હવે તે એકદમ ચોખ્ખો થઈ ગયો હોય? જોકે, તમે તેને ડ્રગ્સમાં સામેલ કરશો? હું રવિ કિશનને જજ નથી કરતો, કારણ કે હું વીડને ડ્રગ્સમાં સામેલ કરતો નથી. તે સ્મોક કરતો હતો. તે હંમેશાં લેતો હતો અને તેણે પોતાનું કામ બહુ જ સારી રીતે કર્યું છે. વીડે રવિ કિશનને ખરાબ બનાવ્યો નથી. તેને રાક્ષસ બનાવ્યો નહીં. આ એવું કંઈ નહોતું કે જેને લોકો ડ્રગ્સ સાથે જોડે છે. હવે તે જે વાત કરે છે તે માત્ર એક તરફી છે અને મને તેની સામે વાંધો છે.'
અનુરાગ કશ્યપની આ વાતનો જવાબ આપતા રવિ કિશને એક પોર્ટલ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, ના ના, તે કંઈ પણ બોલે છે. તેની તબિયત ઠીક નથી. તેણે પોતાની તબિયત ઠીક કરાવવાની જરૂર છે. તેણે જોઈ લેવું જોઈએ કે મેં તેની ફિલ્મમાં શૂટિંગ કર્યું હતું. આરોપ-પ્રત્યારોપમાં પડવું જોઈએ નહીં. આ બધી લેફ્ટ માઈન્ડ વિચારધારા છે. આ લોકોને હું ગેટ વેલ સૂન કહેવા માગીશ. આ લોકો ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરે છે. આ જે લોકોનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે, તે ઈન્ડસ્ટ્રીને પોલી બનાવનાર લોકો છે. આ લોકોએ તેમનો સાથ ના આપીને દેશને સ્વચ્છ બનાવવા તરફ ધ્યાન આપવું જોઈએ. આ બધું ધ્યાન ભટકાવવા માટે છે. મારો ઉદ્દેશ તેનાથી પણ મોટો છે. મારી લડાઈ તે કેમિકલ ટ્રસ્ટની વિરુદ્ધ છે.'
તમને જણાવી દઈએ કે, અનુરાગ કશ્યપે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ફિલ્મ 'બ્લેક ફ્રાઈડે' પર બૅન મૂકાયા બાદ તે ઘણો જ મુશ્કેલીમાં મૂકાયો હતો. આ ઉપરાંત તેના આરતી બજાજ સાથેના લગ્નસંબંધનો પણ અંત આવ્યો હતો. આ સમયે તેણે ડ્રગ્સ લેવાની શરૂઆત કરી હતી અને તેને આ વાતની શરમ પણ છે. આ વાત વર્ષ 2006-08ની છે.